જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવામાનના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રશાસને કહ્યું કે ખરાબ હવામાનને કારણે બાલતાલ અને પહેલગામમાં યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. હવામાન સ્વચ્છ થયા બાદ જ જવાની પરવાનગી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 24 થી 36 કલાક સુધી કાશ્મીર ઘાટીમાં વરસાદનું એલર્ટ છે. ઘાટીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે.

ભાવિકોની સંખ્યા: અમરનાથ યાત્રા 2022ના પ્રથમ ચાર દિવસમાં જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કુલ 40,233 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 30 જૂને યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 40,233 શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરની મુલાકાત લીધી છે.
બાલતાલ બેઝ કેમ્પ માટે 2,028 યાત્રાળુઓ સવારે 3.35 વાગ્યે 88 વાહનોમાં પ્રથમ રવાના થયા હતા, ત્યારબાદ કાશ્મીરના પહેલગામ કેમ્પ માટે 4,323 યાત્રાળુઓને લઈને 151 વાહનોનો બીજો કાફલો રવાના થયો હતો. બાબા બર્ફાનીના દર્શન માટે 43-દિવસીય વાર્ષિક તીર્થયાત્રા 30 જૂનના રોજ દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં પરંપરાગત 48 કિમીના નુનવાન રૂટ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14 કિમીના બાલતાલ રૂટ પર શરૂ થઈ હતી.

