પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વીજ લોસ ઘટાડવાના ઉદેશથી સઘન વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. જે અન્વયે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે આવેલ બે ઔધોગિક એકમોમાં ગેરરિતી થતી હોવાની બાતમીના આધારે તા.29 જૂનના રોજ અધિક્ષક ઈજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી ના માર્ગદર્શન હેઠળ જીયુવીએનએલ તથા પીજીવીસીએલની ટીમો દ્વારા મે. તાસ્કીન એન્ટરપ્રાઈઝ 100 કિલોવોટ તથા મે. રાજા કેટલફીડના 100 કિલોવોટ વીજભાર ધરાવતા ઔધોગિક એકમોના વીજ જોડાણ ચકાસતા મીટર પેટી પર લાગેલ પ્લાસ્ટીક સીલ શંકાસ્પદ જણાયા હતા.
જેથી વીજ કંપની દ્વારા બંને વીજ જોડાણોના મીટર વધુ લેબ પરિક્ષણ અર્થે કબજે લેવામાં આવ્યા હતા ત્યારબાદ તા. 30 જુનના રોજ લેબ પરિક્ષણ કરતાં મીટરના વાયરીંગ સાથે ચેડા કર્યા હોવાનું માલુમ પડ્યું હતું. આથી ઈલેક્ટ્રીસીટી એક્ટ-135 ની કલમ મુજબ મે. તાસ્કીન એન્ટરપ્રાઈઝને રૂ. 45.17 લાખ તથા મે. રાજા કેટલફીડને રુ. 41.17 લાખ એમ કુલ મળી રૂપિયા 87 લાખનો દંડ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવેલ છે જેથી વાંકાનેર તાલુકામાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે. અધિક્ષક ઈજનેરના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હજુ પણ સતત અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે.

