પાક. જેલ સત્તાવાળાઓએ કહ્યું છે કે ભારત તેમના માછીમાર છોડશે પછી જ તેઓ ભારતના માછીમારોને છોડશે. આ શબ્દો પાકિસ્તાન જેલ માંથી પાછા આવેલા માછીમાર.ના છે.
બંદીવાન પૈકીના 20 માછીમારો મુક્ત થયા બાદ આજે માદરે વતન વેરાવળ પહોંચી પરિવારજનોને મળતા લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા. ગુરુવારે મુક્ત થયેલા ગીર સોમનાથ અને હાલાર પંથકના મોટાભાગના માછીમારો ચારેક વર્ષના જેલવાસ બાદ જેલમુક્ત થયા છે. જેલમુક્ત થઈ પરત ફરેલા માછીમારોએ કહ્યું હતું કે, ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની માછીમારોને ભારત છોડશે તે પછી જ પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને છોડશે તેવી વાત પાકિસ્તાની જેલ સત્તાવાળાઓ કરતા હતા.

વાઘાથી પરત: અરબી સમુદ્રમાં માછીમારી કરવા જતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અવાર-નવાર ભારતીય જળસીમામાં ઘુસી ભારતીય બોટો સાથે માછીમારોનું અપહરણ કરી પાક.ની જેલમાં ધકેલી દે છે. ભારત સરકારના પ્રયત્નથી બંધક ભારતીય માછીમારોને સમયાંતરે મુકત કરાવે છે. જે મુજબ તાજેતરમાં પાક. સત્તાવાળાઓએ 20 બંદીવાન ભારતીય માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર ઉપર ભારતીય અધિકારીઓને સોંપેલ હતા. ત્યાંથી રાજય ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા ટ્રેન-બસ મારફત માદરે વતન વેરાવળ લઈ આવવામાં આવેલ હતા.
સુરક્ષા ચેકીંગ: માછીમારોનું જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યુ હતુ. બાદમાં ફિશરીઝ કચેરી ખાતે સવારથી રાહ જોઈ રહેલ પરિવારજનોને મુક્ત માછીમારો સુપ્રત કરાયા હતા. આ સમયે ત્રણથી ચાર વર્ષની પાકિસ્તાન જેલમાં યાતના વેઠયા બાદ માછીમારો પોતાના પરીવારજનોને મળતા સૌની આંખોમાં હરખના આંસુ વહેતા થયા છે

