એક ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. દુમાડ ચોકડીથી જીએસએફસી વચ્ચેથી એક અજાણી લાશ મળી હતી. અજાણી લાશની ખોટી ઓળખ થતાં તેના સંબંધીઓને કબજો આપી દેવામાં આવ્યો હતો. બાદમાં સંબંધીઓએ આ વ્યક્તિના અગ્નિ સંસ્કાર પણ કરી દીધા હતા.
મોટો વળાંક: પણ આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો કે જેના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ જ વ્યક્તિ રાત્રે ઘરે આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. અજાણ્યા પુરુષની લાશની ઓળખમાં પરિવાર થાપ ખાઈ ગયો હતો અને મોટો ગોટાળો સર્જાયો હતો. જે બાદ પોલીસ પણ દોડતી થઈ હતી.

મળી હતી લાશ: તારીખ 16 જૂનના રોજ પોલીસને એક અજાણી વ્યક્તિની લાશ મળી હતી. દુમાડ ચોકડીથી જીએસએફસી તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરથી આ લાશ મળી હતી. જો કે, આ લાશના શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા. જે બાદ પોલીસે 45 વર્ષના વ્યક્તિની લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજીરાવ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. લાશની ઓળખ માટે પોલીસે સોશિયલ મીડિયામાં લાશના ફોટા વાયરલ કર્યા હતા. આ દરમિયાન વાઘોડિયાના સોમેશ્વરપુરા ગામમાં રહેતા શનાભાઈ સોલંકીએ છાણી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
પરિવાર પણ ચોંક્યો: શનાભાઈએ પોલીસને એવું કહ્યું કે, આ લાશ તેમના 49 વર્ષના પુત્ર સંજયની છે. પોલીસે લાશનો કબજો તેના પરિવારને સોંપ્યો હતો. એ સમયે પણ પોલીસે ખાસ તપાસ કરી હતી. એ પછી શનાભાઈએ પોતાના સંબંધીઓ સાથે મળીને લાશના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. સંજય સમજીને પિતાએ જેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા એ જ સંજય મોડી રાત્રે ઘરે પરત ફર્યો હતો. જેને જોઈને પરિવારના સૌ કોઈ ચોંકી ગયા હતા.

