ધોરણ 10 અને 12માં પ્રાકૃતિક ખેતીનો વિષયને ઉમેરવામાં આવ્યો છે. આ બાબતની જાણકારી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આપી હતી. તેમને વધુમાં જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે તેમજ વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે
શું કહ્યું મંત્રીએ: મંત્રીએ ઉમેર્યું કે, “ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય” શીર્ષક હેઠળ ઉમેરવામાં આવેલા આ પ્રકરણમાં ભારતીય કૃષિનો ઇતિહાસ ઉપરાંત પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા, હરિયાળી ક્રાંતિનો ઉદ્ભભવ અને તેના પરિણામો, પ્રાકૃતિક ખેતી એટલે શું? તથા શા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે તેની વિસ્તૃત સમજ આ પ્રકરણમાં આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ-૯ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવેલ છે અને હવે પછી ક્રમશ: ધોરણ-૧૦ થી ૧૨ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) June 9, 2022
પ્રાકૃતિક ખેતીનો અભિગમ: ભવિષ્યમાં તે પોતે પણ પ્રાકૃતિક ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકશે તેમજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ નહિવત પ્રમાણમાં કરશે. જેના કારણે ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે. જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને તેમનું આરોગ્ય સુધરશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થશે તેમજ વિશાળ દ્રષ્ટિએ વિચારતા રાજ્યના નાગરિકોના હિતમાં આ નિર્ણય ખૂબ જ લાભદાયી નીવડશે.

