કોરોનાના કારણે બે વર્ષ પછી અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 1 જુલાઈએ અમદાવાદ શહેરમાં જગન્નાથ રથયાત્રા છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. તો બીજી તરફ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની આતંકવાદી સંગઠને ધમકી આપતા ગુજરાત પોલીસ એલર્ટ બની છે.
ડ્રોનની નજર: આ રથયાત્રામાં પહેલીવાર આકાશી ડ્રોનમાં વધારો કરાશે અને આકાશી સર્વેલન્સ માટે જેટપેક ડ્રોન ચાંપતી નજર રાખશે. જેમાં ટ્રેઈન વ્યક્તિ ડ્રોન સાથે ઉડશે. જે રથયાત્રા માર્ગ પર હવાઈ નિરિક્ષણ કરશે.
અધિકારીની ચોખવટ: ક્રાઇમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલીકના જણાવ્યા અનુસાર અલકાયદાની ધમકીના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આ વખતે ખાસ જમીન અને આકાશમાંથી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એક હજારથી વધુ કેમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવશે. અખાડા, રથ, ટ્રક વગેરે GPSથી કનેક્ટ થશે. પોલીસ દ્વારા ખાસ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેની અંદર સ્થાનિક અને બહારથી આવેલા પોલીસ કર્મીઓ જે સ્થળે ઉભા છે તેની આસપાસ કોઈ હિસ્ટ્રીશીટર અસામાજિક તત્વો કે કોઈ ગુનામાં સંડોવાયેલા લોકો નજીકમાં હશે તો તેની જાણ એપ્લિકેશનમાં થઈ જશે. તે સમયે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો સ્થળ પર હાજર પોલીસને તાત્કાલિક કોનો સંપર્ક કરવો તેનું એલર્ટ જશે.

કડક સુરક્ષા: લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે. સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે. આ પહેલા 4 જૂને અમદાવાદ પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. દર વર્ષ કરતા આ વર્ષે રથયાત્રાનો અલગ જ માહોલ છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શને ઉમટી પડશે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આ વખતે પ્રથમવાર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

