હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને આવકથી વધુ સંપત્તિના મામલામાં દિલ્હીની રાઉસ એવેન્યૂ કોર્ટે દોષી ઠેરવ્યા છે. હવે પૂર્વ મુખ્યમંત્રીની સજા પર તા. 26 મેએ ચર્ચા થશે અને તે દિવસે સજાની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા તા. 19 મેએ કોર્ટે આવકથી વધુ સંપત્તિના કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટમાં શનિવારે સુનાવણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.
સીબીઆઈએ તા. 26 માર્ચ 2010ના ચૌટાલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમને 1993થી 2006 વચ્ચે આવકથી વધુ 6.09 કરોડની સંપત્તિ ભેગી કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. 2013માં જેબીટી કૌભાંડમાં દોષી સાબિત થયા હતા. તેમને પ્રીવેન્શન ઓફ કરપ્શનમાં સાત વર્ષ અને ષડયંત્રમાં દોષી સાબિત થતા 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ગત વર્ષે જ તેઓ સજા પૂરી કરીને જેલમુક્ત થયા છે.

