દિલ્હી માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. શુક્રવારે સાંજે 4.45ની આસપાસ દિલ્હીના મુંડકા વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. છેલ્લી મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 30 થી 40 લોકો ફસાયા હોવાની આશંકા હતી. પરંતુ તમામ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
PM મોદીએ મુંડકા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે, ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કાટમાળ નીચે વધુ લોકો દટાયેલા હોઈ શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુંડકા ઘટના પર કહ્યું કે આગમાં લોકોના દર્દનાક મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના.

દિલ્હીના ચીફ ફાયર ઓફિસર અતુલ ગર્ગે જણાવ્યું છે કે અમારે લોકોનો જીવ બચાવવાનો છે, અમે અહીં ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બિલ્ડિંગમાં સામાન હતો. તેમાં લોકો દબાઈ ગયા છે. અમે આગ ઓલવવા માટે 100 લોકો કોશિશ કરી રહ્યા છીએ. અમે ત્રણ માળની બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં રોકાયેલા છીએ. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ સ્ટેન્ડ ટુ છે. સતત છ કલાક સુધી આ ઇમારત ભડ ભડ સળગતી રહી છે.

દુર્ઘટનામાં અમુક મૃતદેહો સળગી ગયા છે જેણી ઓળખ કરવી મુશ્કેલ થઈ પડી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડીએનએ ટેસ્ટ બાદ અમુક મૃતકોની ઓળખ થઈ શકશે. જ્યારે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

