મધ્યપ્રદેશના ઇન્દોરમાં શાકભાજી વેચનારની દીકરીએ સિવિલ જજ બનીને ફરીએક વખત સખત પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને સાચી પાડી છે.25 વર્ષની અંકિતા નાગરે સૌથી પહેલા તેની માતાને આ સમાચાર આપ્યા હતા. માતા રેકડી પર શાકભાજી વેચતી હતી. અંકિતા પરિણામની પ્રિન્ટ આઉટ લઈને તેની માતા પાસે પહોંચી અને કહ્યું – મમ્મી, હું જજ બની ગઈ છું.

5મો રેન્ક
અંકિતાએ જણાવ્યું કે પરિણામ એક અઠવાડિયા પહેલા જાહેર થયું હતું, પરંતુ પરિવારમાં મૃત્યુના કારણે બધા ઈન્દોરની બહાર હતા. ઘરમાં અંધકારમય વાતાવરણ હતું. તેથી હું તેના વિશે કોઈને કહી શકી નહીં. અંકિતા નાગરે સિવિલ જજની પરીક્ષામાં તેના SC ક્વોટામાં 5મો રેન્ક મેળવ્યો છે. તેણે જણાવ્યું કે પરિવારના તમામ સભ્યો શાકભાજી વેચવાનું કામ કરે છે. દરરોજ 8 કલાક પોતાના અભ્યાસ માટે આપતી હતી. સાંજે, જ્યારે ગાડીમાં ભીડ થઈ જાય, ત્યારે તે શાકભાજી વેચવા જતી. તેઓ રાત્રે 10 વાગે દુકાન બંધ કરીને ઘરે આવતા હતા. ત્યારબાદ તે રાત્રે 11 વાગ્યાથી અભ્યાસ કરવા બેસી જતી.

શું કહ્યું આ પિતાએ
અંકિતાના પિતા અશોક નાગરે જણાવ્યું કે અંકિતા લાંબા સમયથી સંઘર્ષ કરી રહી હતી. અમારી આર્થિક સ્થિતિ સારી નથી, આવી સ્થિતિમાં અંકિતાના અભ્યાસ માટે અમારે ઘણી વખત પૈસા ઉછીના લેવા પડ્યા પણ તેનો અભ્યાસ બંધ થવા દીધો નહીં. એની મમ્મી પણ આ વાવડથી ખુશ છે.

આવું છે ઘર
અંકિતાએ જણાવ્યું કે તેના ઘરમાં રૂમ બહુ નાના છે. ઉનાળામાં, છત પરની ચાદર એટલી ગરમ થઈ જાય છે કે પુસ્તકો પરસેવાથી ભીના થઈ જાય છે. વરસાદમાં પાણી ટપકે છે. ગરમી જોઈને ભાઈએ મજૂરીમાંથી પૈસા બચાવ્યા અને થોડા દિવસ પહેલા કુલર અપાવ્યું. મારા પરિવારે મારા અભ્યાસ માટે ઘણું કર્યું છે, જેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી

