હાર્દિક પટેલે ભાજપના વખાણ કર્યા એ મુદ્દે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે,થેંક યુ. જાણે હાર્દિક પટેલ સામે ગુસ્સો હોય એ રીતે તેમણે જવાબ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે, મારે એના વિશે કંઈ બોલવું નથી. જ્યારે નરેશ પટેલ અંગે ધાનાણીએ જણાવ્યું હતું કે, દૂધમાં સાકર ભળે એમ તે કોંગ્રેસમાં ભળી જવાના છે.
દૂધમાં દહીંનું ટીપું બની ફાડી અમે બધા માટે મોકળું મેદાન કરીશું. અમે આ વખતે 125થી વધારે બેઠક પર જીત મેળવીશું. ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ પુરવાર થઈ છે. જે અમે ઉજાગર કરીશું. જે અપેક્ષા લોકોએ ભાજપ પાસે રાખી હતી એ પૂરી થઈ નથી. પણ અમે વચનબદ્ધ કાર્યક્રમ સાથે લોકો સુધી પહોંચીને એમની અપેક્ષા પૂરી કરવા માટે પ્રયાસ કરીશું. વ્યૂહરચના તો વ્યૂહરચના હોય છે. અમારી મોનોપોલી અમે ખુલ્લી ન પાડી શકીયે. પણ મને વિશ્વાસ છે આ વખતે ઊભા થયેલા સમીકરણ 2017ની ચૂંટણી કરતા સાનુકુળ રહેવાના, જેનો લાભ કોંગ્રેસને મળવાનો છે.

નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવે પછી ચૂંટણીના જે પરિણામ આવે એના પરથી ખ્યાલ આવે કે ફેર ક્યાં પડ્યો. કોંગ્રેસ દૂધ જેવી સ્વચ્છ પાર્ટી છે. સફેદ પૌષ્ટિક અને પારદર્શક છે. કોઈ દૂધમાં સાકરની જેમ ભળે તો અમે એ લોકોનું અંતરના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. હું સોનિયા ગાંધીની શુભેચ્છા મુલાકાતે ગયો હતો. માત્ર ખબરઅંતર પૂછવા માટે પછી પરત આવ્યો. નરેશ પટેલના મનમાં શું ચાલતું હોય એ તો એ જાણે. સાચો જવાબ તો નરેશ પટેલ અને પ્રશાંત કિશોર આપી શકે. નરેશ પટેલ અમારા સમાજના આગેવાન છે. ખોડલધામ સમિતીના ચેરમેન છે. પાર્ટી એમના તરફ જે નિર્ણય કરશે એને અમે આવકારીશું.
હાર્દિક પટેલ અંગે મારે કંઈ કહેવું નથી. થેંક યું…એક વાત સ્પષ્ટ થઈ છે કે, કોંગ્રેસના મોટા કહેવાતા નેતાઓ હાર્દિક પટેલથી નારાજ છે. જેના કારણે કોઈએ ફોડ પાડ્યો નથી. આ પહેલા જ્યારે જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, હાર્દિક સાથે વાત કરીને યોગ્ય સમયે ચોખવટ કરીશ. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલથી કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ છે. કોંગ્રેસના મોટાનેતા અને વિધાનસભા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાર્દિક પટેલથી નારાજ હોય એવું ચિત્ર સામે આવ્યું છે. સત્તા પરિવર્તન આવે કે નહીં એનો જવાબ તો પ્રશાંત કિશોર જ આપી શકે. કોઈ નેતા નહીં. સત્તા પરિવર્તન લાવવું એ લોકોના હાથમાં છે. ભાજપની સત્તામાં લોકોને ક્યા મુદ્દાઓ નડ્યા એનો આધાર લઈને મત આપે તો પરિણામ બદલી શકે.

