મહાનગર અમદાવાદમાં એક ખેડૂતના માત્ર 31 પૈસા બાકી હતા. જેના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ખેડૂતનું નો ડ્યૂ સર્ટિફિકેટ રોકી રાખ્યું હુતું. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે સરકારી બેંકની ઝાટકણી કાઢી છે.
ગુજરાત હાઈકોર્ટે આકરા મિજાજમાં કહ્યું કે, 31 પૈસા બાકી છે અને તમે નો ડ્યૂ સર્ટિફિકેટ અટકાવી રાખ્યું? આ માત્ર હેરાન કરવાની વૃતિ સિવાય બીજું કંઈ નથી. બેંક જાણે છે ને કે, એક નિયમ છે કે, 50 પૈસાથી ઓછી રકમ હોય તો એને અવગણવી તથા એની કોઈ ગણતરી અલગથી ન કરવી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રાષ્ટ્રીયકૃત બેંક હોવા છતાં લોકોને હેરાન પરેશાન કરે છે. આ અંગે બેંક એક સોગંદનામું કરે. આ કેસની વધુ સુનાવણી હાઈકોર્ટ તા.2 મેના રોજ કરશે. એક ખેડૂતને પાક લોનની ચૂકવણી બાદ નો ડ્યૂ સર્ટિફિકેટની જરૂર જમીનનો સોદો પૂરો કરવા માટે હતી. આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે, એક વખત લોન ચૂક્તે થઈ જાય એ પછી બેંકને નો ડ્યૂ સર્ટિફિકેટ આપવા માટે આદેશ આપશે.

એ સમયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એવી રજૂઆત હતી કે, લોનની ચૂકવણી બાદ ખેડૂત પાસેથી હજું પણ 31 પૈસા લેવાના બાકી છે. જમીન પર બેંકનો ચાર્જ દૂર કરાયેલો નથી. અમદાવાદના ખોરજ ગામે એક જમીન આવેલી છે. જે બે ખેડૂતોએ એક વ્યક્તિ પાસેથી ખરીદી હતી. ભૂતકાળમાં જમીન માલિકના પરિવાર બેંક પાસેથી લોન લીધઈ હતી. લોન પૂરી થાય એ પહેલા આ વ્યક્તિના પરિવારે જે જમીન હતી એ વેંચી મારી. એ સમયે બેંકના બાકી રકમના આધાર પર જમીન તથા નવા માલિક પર ચાર્જ ઠોકી દીધો. જેથી જમીનના નવા માલિકના નામ મહેસુલમાં રેકોર્ડ ન કરી શકાયા. એ સમયે જમીન ખરીદનારે નો ડ્યૂ સર્ટિફિકેટ મેળવવા માટે બેંકને આ રકમ ચૂકવવા પ્રસ્તાવ કર્યો.
પણ આ અંગે કોઈ કામગીરી ન થતા ખરીદનારે બે વર્ષ પહેલા હાઈકોર્ટમાં જમીનને લઈને અરજી કરી હતી. કેસ પડતર હોવાથી તે સમયે લોનની ચૂકવણી પણ થઈ ગઈ. આમ છતાં બેંક કોઈ રીતે પ્રમાણપત્ર આપતી ન હતી. જેથી નવા માલિકના નામે જમીન થતી ન હતી. આ અંગે હાઈકોર્ટે બેંકને ખખડાવી નાંખતા કોર્ટ કેસ ચાલી રહ્યો છે.

