સ્કૂલ ફીને લઈને ખાનગી સ્કૂલની ભૂખ પંચતંત્રના ભાખંડ પંખી જેવી થઈ ગઈ છે. ગમે એટલું ખાય એનું પેટ જ નથી ભરાતું. રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની શિયાળવૃતિ જગજાહેર છે. ખાનગી સ્કૂલના મનસ્વી વલણના બે કિસ્સા સામે આવ્યા છે. જેમાં વાલીઓને ફી ભરી જવા માટે દબાણ કરવામાં આવે છે. મહીકા ગામની નીલરાજ સ્કૂલમાં સંચાલકોએ વિદ્યાર્થિનીને ફોન કરીને કહ્યું હતું કે, ફી નહીં ભરે તો પરીક્ષામાં બેસવા નહીં દઈએ.

રાજકોટ સિટીની પાસે આવેલા સાતડા ગામે અનુભાઈ ચાવડા નામના એક વાલીએ જિલ્લા ક્લેક્ટરને તથા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન આપ્યું હતું. જેમાં કહ્યું હતું કે, એનો પુત્ર ધ્રુવ સરદાર સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરે છે. જેને ફી લઈ આવવા કહ્યું હતું. પિતાએ 16000નો ચેક લખી આપ્યો હતો. તા.22ના રોજ જ્યારે ગણિતનું પેપર હતું ત્યારે દીકરો ચેક લઈને પહોંચ્યો પણ સંચાલકોએ ચેક સ્વીકારવાન ના પાડી અને પરીક્ષા પણ આપવા ન દીધી.

દીકરાએ નિરાશ થઈને ગામની એક દુકાને પહોંચી દુકાનદાર પાસેથી મોબાઈલ લઈ પિતાને ફોન કર્યો હતો. અનુભાઈ તે દિવસે હોસ્પિટલના કામમાં હોવાથી ફોન પર પુત્રએ રોકડાની વાત કરતા બીજા દિવસે રોકડા લઈને સાથે જઇશું એવુ કહ્યું. પુત્રને લાગી આવતા તેણે ‘હું કૂવામાં પડી આપઘાત કરવા જાઉ છું’ તેવું કહેતા પિતાના પગ તળિયેથી જમીન ખસી ગઈ. તેમણે દુકાનદારને ફોન કરી ત્યાં જ ધ્રુવને બેસાડી રાખવા કહ્યું હતું. પછી તેઓ યુદ્ધના ધોરણે દીકરા પાસે ગયા હતા. આમ સ્કૂલના ફી અંગેના દબાણથી વિદ્યાર્થીઓ આવા પગલાં ભરે છે.

આ ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત થતા તંત્રમાં પણ દોડધામ મચી હતી. આ કેસમાં NSUIની ટીમ મેદાને આવી હતી. પ્રમુખ રોહિતસિંહ રાજપુતે કહ્યું હતું કે,અમે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેમાં કોઈ વિદ્યાર્થી કે વાલીને પરીક્ષા અંગે કોઈ સ્કૂલ અટકાવે તો અમારો સંપર્ક કરશો. અમે વિદ્યાર્થીઓ સાથે છીએ. કોઈ પણ કિસ્સામાં ખાનગી સ્કૂલની ખોટી દાદાગીરી સહન નહીં કરવા દઈએ. આંદોલન અને હલ્લાબોલ કરીશું.

