ખોડલધામ પ્રવક્તા હસમુખક લુણાગરિયાએ આ વાતનું ખંડન કરતા કહ્યું કે, રમેશ ટીલાળાનું સર્વે અંગેનું નિવેદન અંગત અભિપ્રાય છે. એ એનું વ્યક્તિગત નિવેદન છે. હજુ ફાઈનલ રીપોર્ટ હાઈકમાન્ડને સોંપવાનો બાકી છે. સર્વેનો રીપોર્ટ આવે એ પહેલા જ ટ્રસ્ટમાં જુદા જુદા મત જોવા મળી રહ્યા છે.
આ બેઠકમાં સામાજિક ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ મનહર પટેલ તેમજ આગેવાનો દ્વારા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો ગુજરાતનું ભવિષ્ય ઊજળું બને તેવી લાગણી દર્શાવી હતી. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ અને ગુજરાતમાં ફરી સારા દિવસો આવશે. તો બીજી તરફ, નરેશ પટેલને રાજકીય પ્રવેશને લઈ પૂછવામાં આવ્યું ત્યારે ફરી એ જ રટણ કર્યું હતું કે સમય આવશે એટલે હું મારો નિર્ણય લોકો સમક્ષ મૂકીશ. આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. સમય આવશે ત્યારે રાજકારણ અંગે જાણ કરીશ.

ટ્રસ્ટના જ બે વ્યક્તિઓના વિરોધાભાસી નિવેદનથી અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હસમુખ લુણાગરિયાએ કહ્યું કે, સર્વેનો રીપોર્ટ હજુ સુધી આવ્યો નથી. જે રીપોર્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવશે. સત્તાવાર રીપોર્ટ હજુ સુધી દેવામાં આવ્યો નથી. જ્યારે પણ નરેશ પટેલના અંગત વ્યક્તિઓની વાત કરવામાં આવે છે ત્યારે રમેશ ટીલાળાનું નામ પહેલા લેવાય છે. જે હાલમાં ખોડલધામના ટ્રસ્ટી છે. હાલમાં એમનું નિવેદન સ્વીકારી શકાતું નથી. હાલ સર્વેમાંથી શું સામે આવે છે એના પર સૌની નજર છે. જોકે, નરેશ પટેલે કહ્યું હતું કે, અલગ અલદ સમાજના આગેવાન મને મળ્યા છે. હું પણ ત્રણેય પાર્ટીના મોટા નેતાઓના સંપર્કમાં છું. જોકે, રાજકારણ અંગેના પ્રવેશ અંગે યોગ્ય સમયે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જોકે, હકીકત એવી પણ છે કે, દિલ્હીમાં લગ્નપ્રસંગે હાજરી આપવા ગયેલા નરેશ પટેલ કેટલાક કોંગ્રેસનાા નેતાઓને પણ મળ્યા હતા. પણ સત્તાવાર કોઈ ચર્ચા કે નિર્ણય લેવાયો નથી એવી ચોખવટ કરી હતી. નરેશ પટેલ હજી મગનું નામ મરી નથી પાડતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ અને અગ્રણીઓ તેમજ અન્ય સમાજના લોકોની ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે બેઠક યોજાઇ હતી.

