રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દેવાયો છે. ભાજપના અનેક કેન્દ્રીય મંત્રીઓ એકબાક એક ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આગામી તા. 29 એપ્રિલથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. જેમાં તેઓ મંત્રીઓ, હોદ્દેદારો, પ્રધાનો અને કાર્યકરો સાથે બેઠક કરશે. તથા આગામી ચૂંટણીની રણનીતિ ઘડશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 29મી એપ્રિલે ગાંધીનગર આવી પહોંચશે. ત્યારબાદ તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રધાનો અને હોદ્દેદારો સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ જીએમડીસી હોલમાં મંડલના કાર્યકરો સાથે બેઠક કરીને સંબોધન કરશે. સાંજે તેઓ વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 30 એપ્રિલે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં ભાગ લેશે. જ્યારે તા. 1 મેના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ઉપરાંત પાટણ ખાતેના સરકારી કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે.

તો 30 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પંચમહાલ અને દાહોદ જિલ્લાના પ્રવાસનું આયોજન છે. તેઓ ગાંધીનગર અને પંચમહાલના કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. ગાંધીનગરમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં હાજરી આપશે આ ઉપરાંત પંચમહાલ ડેરી અને પીડીસી બેંકના કાર્યક્રમમાં પણ શાહ હાજર રહેશે.

