રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ મેદાને પડી ગયું છે. તમામ જિલ્લા અને શહેર કક્ષાએ કાર્યકરો દ્વારા વ્યાપક પ્રમાણમાં કાર્યક્રમોની હારમાળા શરૂ થઈ ચુકી છે. ત્યારે કાર્યકરોને પણ આગામી 1થી 3 મે સુધી રજા આપવાનો નિર્ણય પ્રદેશ અધ્યશ્ર દ્વારા લેવાયો છે. ત્યારબાદ 6 મહિનાસુધી ચૂંટણીકાર્યની દોડધામ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. કાર્યકરોની રજા દરમયાન કોઈપણ પ્રકારનો કાર્યક્રમ નહીં રાખવા માટે કહ્યું છે.

વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તડામાર તૈયારીઓ તો શરુ કરી દીધી છે. પરંતુ ભાજપ હમેશા કંઇક નવા પ્રયોગો કરતુ આવ્યુ છે. ત્યારે આ વખતે ચૂંટણીની કામગીરીમાં ભાજપ કોઇ કચાશ રાખવા માગતું નથી. હેતુસર રોજબરોજના કાર્યોમાંથી પાર્ટીના કાર્યકરોને થોડો બ્રેક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકરો માટે 3 દિવસ રજાની જાહેરાત કરી છે. તાપીમાં આયોજિત એક કાર્યક્રમમાં સી.આર પાટીલે 1મે થી 3મે સુધી કાર્યકરોને રજા જાહેર કરી. પ્રદેશ અને જિલ્લા કક્ષાએથી 3 દિવસ સુધી કોઇ પણ કાર્યક્રમ નહી આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

3 દિવસની રજા આપવા પાછળ કારણો જણાવતા સી.આર પાટીલે કહ્યું કે સતત બે વર્ષથી કાર્યક્રમો આપતા આવ્યા છીએ. દરેકને થોડો સ્પેસ આપવાની જરુર હોય છે. ઘણા કાર્યકરોની રજૂઆત હતી કે થોડો બ્રેક આપો. જેથી 3 દિવસની રજા આપવામાં આવી, સી.આર પાટીલનું માનવુ છે કે 3 દિવસની રજા આપવાથી અમે વધુ તાજગી સાથે 2022ની વિધાનસભાની તૈયારી કરી શકીશું. વધુમાં એમ પણ જણાવ્યું કે 3 દિવસ એ લાંબો સમયગાળો નથી પરંતુ રજા બાદ નવી તાજગી સાથે આવનારા દિવસો માટે કામે લાગે તેમ જણાવ્યું હતું.

