બરવાળા નજીક આવેલા સાળંગપુર ખાતે હનુમાન જયંતી મહોત્સવની ધામધૂમીથી ઉજવણી થઈ હતી. ભાવિકોનો ઘોડાપુર ઉમટી પડ્યું હતું. હૈયે હૈયુ દળાય એવી માનવ મેદની વચ્ચે દાદાના દર્શન કરવા માટે આશરે 10લાખથી વધારે ભાવિકો આવ્યા હતા. ફૂલોના શણગાર કરીને રાત્રે આતશબાજી કરવામાં આવી હતી. વહેલી સવારે 5.15 વાગ્યે સુવર્ણવાઘા સાથે આરતી કરવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમો અને પ્રસંગમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસવડા કરણરાજ વાધેલાની ટીમ ખડેપગે રહી હતી. પોલીસ ટીમે લોકોને મદદરૂપ થવા માટે મંદિર ટ્રસ્ટ સાથે રહીને વ્યવસ્થા સંભાળી હતી.

માત્ર જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમ જ નહીં, જિલ્લા પોલીસવડા ખુદ કરણરાજ વાઘેલા ખડેપગે રહ્યા હતા. દાદાના દરબારમાં મંચમુખી સમુહ હવન કરવામાં આવ્યો હતો.જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેસપ્રસાદજી, સ્વામી નારાયણ સંપ્રદાયના અન્ય સંત અને હજારથી વધારે હરિભક્તોએ હવનનો લાભ લીધો હતો. શુક્રવારે હનુમાનજીની હાથી પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો શ્રદ્ધાળુંઓ જોડાયા હતા.251 પુરૂષો અને મહિલાઓએ સાફા ધારણ કર્યા હતા. 108 બાળકોએ ધ્વજારોહણ કર્યું હતું. સમગ્ર મંદિર પરિસરમં રોશની કરવામાં આવી હતી. મોડી રાત સુધી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે પટાંગણમાં કુલ 108 કિલોની કેક કાપવામાં આવી હતી. બપોરે આરતી કરવામાં આવી હતી. ભાવિકોને મુશ્કેલી ન થાય એ માટે પરિસરમાં સૌને રહેવા તથા ટૂંકા રોકાણ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચા, પાણી નાસ્તો તેમજ મહાપ્રસાદ માટે હેરાન ન થવું પડે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. બપોરે અન્નકુટ ધરવામાં આવ્યો હતો. આસપાસના ગામ તો ઠીક રાજ્યના અલગ અલગ શહેરમાંથી લોકો દર્શન કરવા માટે આવ્યા હતા.

