ગુજરાત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. તા.18 એપ્રિલના સોમવારથી આ કસોટી શરૂ થશે. ધો.3થી 8ની વાર્ષિક પરીક્ષામાં તમામ વિષયમાં બીજા સત્રનો અભ્યાસક્રમ ખાસ ધ્યાને લેવાશે. જ્યારે ધો.3થી 8 ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ 200 ગુણના આધાર પર નહીં પણ 160 ગુણના આધાર પર તૈયાર કરાશે. કોરોના વાયરસના કારણે પહેલા સત્રના અંતમાં કોઈ પરીક્ષા લેવાઈ ન હતી.
તેથી હવે માત્ર બીજા સત્રના અંતમાં વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાના આધારે માર્ક મૂકવામાં આવશે. સરકારી સ્કૂલના પેપરને GCERTને મોકલવામાં આવશે. ખાનગી સ્કૂલને જાતે પ્રશ્નપત્રો કાઢવાની છૂટ આપવામાં આવી છે. તા.18 એપ્રિલથી પ્રાથમિક શાળાની પરીક્ષા શરૂ થશે. જે તા.28 એપ્રિલના રોજ પૂરી થશે. આ પરીક્ષામાં ધો.3થી 8ના તમામ વિષયમાં બીજા સત્રનો અભ્યાસ ક્રમ જ ધ્યાનમાં લેવામાં આવશે. સતત બે વર્ષથી કોરોનાકાળને કારણે નાના ધોરણમાં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. ત્રીજા વર્ષે હવે સ્કૂલમાં ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે. 40 માર્કનું પેપર ધો.3થી 5માં રહેશે. જ્યારે આ માટે કુલ બે કલાકનો સમય આપવામાં આવશે. 80 માર્કનું પેપર ધો.6થી 8માં રહેશે.

જે માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે. આ તમામ ધોરણની કસોટી સવારે 8 વાગ્યે શરૂ થશે. ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, પર્યાવરણની સમાન કસોટી લાગુ કરવાની છે. માર્ચ 2020માં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. માત્ર બોર્ડના ધોરણની કસોટી થઈ હતી પણ ધો.3થી 9 અને ધો.11ની વાર્ષિક પરીક્ષા યોજાઈ ન હતી. જેથી રાજ્ય સરકાર તરફથી ધો.1થી 9 તથા ધો. 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ પરીક્ષા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશન પડશે. એ પછી જે તે સ્કૂલ વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરશે.
આ વખતથી તમામ એજ્યુકેશન સત્ર રાબેતામુજબ થઈ જતા એજ્યુકેશનની ગાડી પાટે ચડી રહી છે. ખાસ કરીને આ વખતે કૉલેજ એડમિશનમાં પડાપડી થાય એવા એંધાણ છે. કારણ કે બોર્ડની પરીક્ષાના પેપર પૂર્ણ થઈ ગયા છે. પરિણામ પહેલા જ કેટલીક કૉલેજોએ નવા એડમિશન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે ગુજરાત જેવી મોટી યુનિવર્સિટીમાં તો જે તે કૉલેજ હેઠળ નવા એડમિશન માટે પ્રક્રિયાઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

