મહાનગર વડોદરામાંથી વૉર્ડ નં.10ના કાઉન્સિલર તથા બુટલેગર વચ્ચેની વાતચીતના સ્ક્રિનશૉટ વાયરલ થયા હતા. રામ નવમીના દિવસે ગોત્રી વિસ્તારમાંથી યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રાને લઈ વોટ્સએપ ગ્રૂપમાં થયેલી વાતચીતના ફોટો સામે આવ્યા હતા. જેમાં દિવ્યરામ યાત્રા 2022 નામનું એક ગ્રૂપ તૈયાર કરાયું છે. જેમાં લખાયેલી વાત બધે ફરતી થઈ ગઈ હતી. ગોત્રી વિસ્તારમાં રહેતા કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે એવું લખ્યું કે, બુટલેગર ગોરધન પાસેથી 2 પેટી દારૂ લઈ લેજો, પછી બધાને આપજો.
એટલું જ નહીં આ યાત્રામાં જોડાનારા લોકોને રૂ.500નું પેટ્રોલ કુપન આપવા પણ ઓફર કરાઈ હતી. આ યાત્રામાં સંખ્યા ફૂલ થઈ જવી જોઈએ. અન્યથા આબરૂ જશે. આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી. વાયરલ થયેલી આ પોસ્ટના કારણે ભાજપની પ્રતિષ્ઠા પર હવે સવાલ થઈ રહ્યા છે. જે કારણોસર કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આ તમામ પ્રકારના દાવાઓ નકારી કાઢ્યા હતા. રામનવમીના દિવસે જે યાત્રા કાઢવામાં આવી હતી એમાં લોકો સ્વયં રીતે જોડાયા હતા. આવી કોઈ વાત મારે ચેટમાં થઈ નથી એવું એમનું કહેવું છે. અમારા જેવું બીજુ ગ્રૂપ બનાવીને ચેટને વાયરલ કરવામાં આવી છે. આટલી ભવ્ય વિશાળ યાત્રા મારા વિસ્તારમાંથી પહેલીવાર નીકળી હતી. એટલે પ્રકારનું બદનામ કરવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં પણ આવી છે. પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આ કાંડ કરનાર પકડાશે. કોઈ અસામાજિક તત્ત્વો તરફથી આ પ્રકારની ચેટને વાયરલ કરવામાં આવી છે. પણ આ પ્રકારની ચેટ વડોદરાના સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક પ્રકારની વાત થઈ રહી છે. ફરી એકવખત ભાજપની પ્રતિષ્ઠ સામે સવાલ થઈ રહ્યા છે.

જ્યારે નેતાઓના હેતું અંગે પણ વડોદરામાં વાતો થઈ રહી છે. હવે સવાલ એ પણ ચર્ચામાં છે કે, ગોરધન બુટલેગર કોણ છે. કોર્પોરેટરને એની સાથે સંબંધ છે કે ખોટી રીતે વાત વાયરલ કરવામાં આવી છે એ તપાસ બાદ સામે આવશે. બીજી બાજું ઉમંગભાઈના મોબાઈલમાંથી એ વાત લખાઈ છે કે, હું ભાવેશને વાત કરૂ છું. ભાજપ પક્ષ પર અનેકવાર એવા આક્ષેપ લાગેલા છે કે, પૈસા આપીને ભીડ એકઠી કરવામાં આવે છે.

