કેન્દ્ર અને રાજ્ય સરકાર ધો.1થી 5ના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન કરવા માટે લાખો રૂપિયાનું બજેટ ફાળવે છે. પણ વાસ્તવિકતા એવી પણ છે કે સમયાંતરે અહીં આપવામાં આવતા ફૂડ સામે પ્રશ્નો ઊભા થયા છે. જો વિદ્યાર્થીદીઠ ગણતરી કરવામાં આવે તો એક વિદ્યાર્થી પાછળ માત્ર 4.97 રૂ. જેવી મામલી રકમ ખર્ચાય છે. એટલામાં તો પારલે બિસ્કિટનું એક પેકેટ પણ નથી આવતું. બીજી બાજુ સરકારી કાર્યક્રમોમાં રૂ.1500ની એક થાળીનો ખર્ચો કરવામાં આવે છે.
આ પરથી એક વાત નક્કી થઈ છે કે, સરકાર ગરીબ વિદ્યાર્થીઓ પાછળ મધ્યાહન ભોજન પેટે રૂ.5નો પણ ખર્ચો કરતી નથી. આવી જ રીતે માધ્યાહન ભોજનના નામે મજાક ચાલતી રહી તો બાળકના પોષણનું શું? એક રીપોર્ટ અનુસાર વડોદરા જિલ્લામાં મધ્યાહન ભોજન માટે તા.3 માર્ચ 2022ના રોજ નક્કી થયેલા ભાવ અનુસાર ભોજન માટે ગણતરી કરવામાં આવી. જેમાં ધોરણ 1થી 5ના એક વિદ્યાર્થીદીઠ 4.97 રૂપિયા અને ધોરણ 6થી 8ના એક વિદ્યાર્થીદીઠ 7.45 રૂપિયાનો ખર્ચો સરકાર કરે છે. ત્રણ વર્ષ પહેલા ધો 1થી 5ના એક વિદ્યાર્થીદીઠ 4.96 રૂપિયા અને ધોરણ 6થી 8ના એક વિદ્યાર્થીદીઠ રૂ.6.96 ખર્ચો કરાતો. એટલે છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર રૂ.1નો વધારો કરવામાં આવ્યો. જ્યારે બાકીના ધો.6થી 8માં માત્ર 49 પૈસાનો વધારો થયો.

જો ગણતરી અન્ય પાસાને ધ્યાને લઈને કરવામાં આવે તો લગ્નની એક ડીશના બજેટમાં મધ્યાહન ભોજન લેતા 200 બાળકો જમી લે. જ્યારે દૈનિક ધોરણે 200 વિદ્યાર્થીઓનું મધ્યાહન ભોજનનું રોજનું બજેટ માત્ર 1242 રૂપિયાનું થયું. જેમાં 1 રૂ. શાકભાજીનો, 55 પૈસા મસાલાના, 74 પૈસા બળતણના અને 9 પૈસા દળામણના. આવું ધો.1થી 5 માટે, હવે ધો,6થી 8ના વિદ્યાર્થીઓ માટે રૂ.1નું શાકભાજી,33 પૈસાના મસાલા, 1.10 રૂ. બળતળના અને 13 પૈસા દળામણના. 100 બાળકોને પોષણયુક્ત ભોજનનો ખર્ચો થાય છે રૂ.2930 જ્યારે સરકાર ફાળવે છે માત્ર રૂ.1242. આ તો માત્ર વડોદરા જિલ્લાના એક જ સેન્ટરની ગણતરી છે.
મધ્યાહન ભોજન યોજનાના ડે. ક્લેકટર વડોદરા જિલ્લા અધિકારી કહે છે કે, ધો.1થી 5ના 70,0000 વિદ્યાર્થીઓ, ધો.6થી 8ના 39000 વિદ્યાર્થીઓ લાભ લે છે. વડોદરાના નજીકના સેન્ટરની કુલ 594 સ્કૂલમાં મધ્યાહન ભોજન ચાલે છે. જે લોકો આ મધ્યાહન ભોજનનો એક કોળીયો બાળકો સુધી પહોંચે એ માટે મહેનત કરે છે એનું વેતન પણ મજાક સમાન છે. સંચાલકને દર મહિને માત્ર રૂ.1600, રસોયાને માત્ર રૂ.1400 અને હેલ્પરને માત્ર રૂ.300 મળી રહે છે. જેમાં બાળકો માટે ભોજન બનાવવું, પેકિંગ કરવું, પેકેજને સ્કૂલે લઈ જવા તથા રસોઈના વાસણ ધોવા સુધીની કામગીરીનો સમાવેશ થાય છે. અસહ્ય મોંઘવારીને કારણે જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સામાન્ય માણસને જીવવું મુશ્કેલ થઇ ગયું છે. પણ આ મોંઘવારીને ડામ સરકારી એકમોને પણ લાગી રહ્યો હોય એવું ચિત્ર છે.

