મહાનગર સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી મહિલાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં સ્વામી નારાયણ મહિલા મંદિર પાસે કોમન પ્લોટ છે. છેલ્લા દસ વર્ષથી આ કોમન પ્લોટની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સોસાયટીના લોકો પોતાના કોમન પ્લોટ મુદ્દે સ્વામી નારાયણ મંદિર પાસે વિરોધ કરવા માટે બેઠા હતા. એ દરમિયાન મંદિરની મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ ગઈ અને સામસામે દેવાવાળી કરી હતી.
થોડા સમય માટે વાતાવરણ તંગ થઈ ગયું હતું. મંદિરની મહિલાઓએ સોસાયટીની મહિલાઓને કહ્યું કે, અહીં વિરોધ કરવા શા માટે બેઠા છો. આ મુદાને લઈને જબરદસ્ત હંગામો મચી ગયો હતો. સોસાયટીના સ્થાનિકોએ એવું કહ્યું કે, સ્વાતિ સોસાયટીના સભ્યોની આ કોમન પ્લોટની જગ્યા બોલતી હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવા મળતો નથી.જે મામલાને લઈને અમે વિરોધ કરવા બેઠા હતા. શુક્રવારે એકાએક જ આ મુદ્દો ખૂબ જ ઉગ્ર બની ગયો હતો. મહિલાઓએ રીતસરની સામસામે મારામારી શરૂ કરી દીધી હતી. જેટલા પણ લોકો શાંતિથી વિરોધ કરવા બેઠા હતા. તે તમામને ત્યાંથી યુદ્ધના ધોરણે ભગાડી દીધા હતા. વાતાવરણ એટલું ઉગ્ર બની ગયું હતું કે વરાછા પોલીસે આવીને મહિલાઓને શાંત પાડી હતી. કેટલાક લોકોને નાની-મોટી ઇજા પણ થઇ હોવાનું રીપોર્ટમાંથી જાણવા મળે છે. સોસાયટીના સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે, 10 વર્ષથી આ મુદ્દો વિવાદમાં રહ્યો છે. મંદિરની મહિલાઓ સાથે એમને કોઈ પ્રકારની મુશ્કેલી નથી. અમે એમનો કોઈ રીતે વિરોધ પણ કરતા નથી. પણ કોમન પ્લોટની જગ્યાને લઈ તથા ઉપયોગને લઈને આ માથાકુટ શરૂ થઈ હતી.

આ અમારી જગ્યા છે. જેને લઈને આ હંગામો થયો છે. મંદિરના સંચાલન સાથે પણ અમને કોઈ મુશ્કેલી નથી. પણ અમારી સોસાયટીની જમીનનો કોઈ આવી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકે. આવી રીતે જમીન કોણે તબદીલ કરી છે. એ વિશે પણ અમને કોઈ પ્રકારની જાણકારી નથી. સ્વામિનારાયણ મહિલા મંદિરની મહિલાઓ સાથે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ પછી મારામારી શરૂ થઈ હતી. વરાછા પોલીસ દોડી આવી હતી અને બંને પક્ષોને શાંત પાડ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે રવાના કર્યા હતા.

