ઘણી વખત નેતાઓની જીભ એવી રીતે લપસે છે કે જેના કારણે એમના જ પક્ષમાં સોપો પડી જાય છે. આવી જ સ્થિતિ રાજકોટમાંથી સામે આવી હતી. જ્યાં શિક્ષણમંત્રી બોલી ગયા હતા કે, જે લોકોને ગુજરાતનું શિક્ષણ ન ગમતું હોય તેઓ બીજા રાજ્યમાં જતા રહે. જોકે, આ બફાટ કર્યાના 24 કલાકમાં જ જીતુ વાઘાણીએ હાથ જોડી લીધા હતા. પણ કહેવાય છે કે, બોલવાથી બાજી બને કાં તો બગડે. આ કેસમાં બગડી ગઈ છે.
છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં કથળી રહેલા શિક્ષણની ટીકા કરી રહ્યા છે. જેને જવાબ આપવા જતા જીતુ વાઘાણીની જીભ લપસી ગઈ હતી. જે લોકોને ગુજરાતનું શિક્ષણ ન ગમતું હોય તેઓ બીજા રાજ્યમાં જતા રહે, એવું કહેતા હવે એમના જ પક્ષના કેટલાક સભ્યો એમનાથી નારાજ થયા છે. ચારેય બાજું એની ટીકા થઈ રહી છે. ભાજપના ટોચના નેતાગણ પણ આ પ્રકારના બફાટથી નારાજ થયા છે. તમામ રાજકીય પક્ષમાં ભાજપના IT સેલને સૌથી વધારે મજબુત માનવામાં આવે છે. કોઈ પણ મુદ્દાને લઈને સરકાર બચાવવા માટે સરકારની પડખે ઊભા રહી જાય છે. સોશિયલ મીડિયામાં પણ 24 કલાક સક્રિય રહે છે. પણ જીતુ વાઘાણીએ કરેલા બફાટ મામલે તેમણે પણ મૌન સેવી લીધું છે. જોકે, એમને મૌનવ્રત રાખવું એવું આદેશ ઉપરથી મળેલો છે. ભાજપના ટોચના નેતાઓ એ વાત સમજે છે કે, વાઘાણીના આ પ્રકારના બફાટથી વિધાનસભાની ચૂંટણીમાં એક નકારાત્મક અસર ઊભી થઈ શકે છે. તેથી જ IT સેલને નિષ્ક્રિય રાખીને ડેમેજ કંટ્રોલ કરવા માટે જવાબદારી વાઘાણીને આપી દીધી છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સોસોદિયાએ આ માહોલનો ફાયદો ઊઠાવ્યો છે. સિસોદિયાએ પત્રકારોને એવું જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં શિક્ષણ માટે શું કામ થયું એ હું જોવા માગું છું.

આગામી સોમવારે હું ગુજરાતની શાળાઓની મુલાકાત કરવાનો છું. મને પાક્કી ખાતરી છે કે, તેમણે કંઈને કંઈક તો કામ કર્યું હશે. જો કોઈ કામ નહીં કર્યું હોય તો ગુજરાતની પ્રજા આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જનાદેશ આપશે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના નિવેદન મામલે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી વાતને ટૂંકડે ટુકડે રજૂ કરવામાં આવી છે. આ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. ગુજરાતના ગૌરવ માટે મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી.

