રાજ્યમાં આવેલી મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અનેક નિર્દોષોના જીવ રખડતા ઢોરના કારણે ગયા છે. ત્યારે રખડતા ઢોરે વૃદ્ધનો ભોગ લીધો છે. વિશ્રામ હોટલ નજીકથી જઈ રહેલા વૃદ્ધની બાઈકની આડે ખુંટીયો આડો ઉતરતા દંપતિ ઘવાયું હતું. જેમાં ઈજાગ્રસ્ત વૃદ્ધે આજે સારવાર દરમયાન દમ તોડ્યો હતો.

જામનગર શહેરના રાજમાર્ગો પર ઢોરનું રાજ અકબંધ છે. અનેક વખત રખડતા ઢોરના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. તો નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો સમય પણ આવ્યો છે. શહેરના ઓશવાળ-2માં રહેતા દામજીભાઈ બુસા (ઉં.વ.75) નામના વૃદ્ધ પોતાની પત્ની સાથે ગત તા.9-3ના રોજ એક્ટિવા મોટરસાઇકલ જીજે-10-સીએ 5848 પર જઈ રહ્યા હતા ત્યારે વિશ્રામ હોટલ પાસે અચાનક ખૂંટિયો ગાડીની વચ્ચે આવીને પડ્યો હતો, જેમાં વૃદ્ધને માથામાં અસંખ્ય ફ્રેક્ચર થઈ ગયાં હતાં અને વૃદ્ધાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

વૃદ્ધને સારવાર માટે જામનગર અને બાદમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા પરંતુ કોમામાં રહેલા વૃદ્ધ ભાનમાં આવ્યા ન હતા અને બાદમાં તેમનું મૃત્યુ થતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ આ ઘટનામાં વૃદ્ધનો જીવ ગયો અને તેમની પત્ની પથારીવશ બન્યા છે. આ ઘટના બાદ પણ મહાનગર પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે.

