રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રહેવાસી સંકેત મકવાણાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં સ્પષ્ટતા કરી હતી કે, પેટ્રોલ અને ગેસ હપ્તેથી આપો. કારણ કે, મોંઘવારીમાં અત્યારે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. મંગળવારે તેમણે ધોરાજી પ્રાંત અધિકારીની કચેરીએ એક આવેદન પત્ર આપ્યું હતું. જે વાંચીને પ્રાંત અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. સંકેતે આ પત્રમાં ગેસ અને પેટ્રોલના જૂના ભાવનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, હકીકત એવી પણ છે કે, હાલના ભાવ વધારાથી સામાન્ય પ્રજા પીડાઈ રહી છે.

સંકેતના પરિવારમાં ચાર વ્યક્તિઓ છે. બાળકોનો અભ્યાસ ખર્ચ અને કમરતોડ ભાવ વધારો રીતસરના આર્થિક ડામ દઈ રહ્યો છે. જેથી ઘરનું ગુજરાન ચલાવવું કઠિન થઈ ગયું છે. એટલે પેટ્રોલ અને ગેસમાં હપ્તાની સુવિધા કરી આપવામાં આવે. સંકેતે પત્ર ઉપરાંત એવું પણ જણાવ્યું કે, અત્યારે પ્રજા માટે સૌથી મોટી મુશ્કેલી ઈંઘણનો ભાવ વધારો છે. જેનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. હું ભારત દેશનો રહેવાસી છું. આપની સરકાર આવ્યા બાદ જે ગેસના બાટલાના ભાવ રૂ.350 હતા એના અત્યારે 1050 રૂ. થઈ ગયા છે. જે પેટ્રોલનો ભાવ રૂ. 70 હતો એ હવે વધીને રૂ.104 થઈ ગયો છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. મારી નમ્ર વિનંતી છે કે, પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તેથી આપવામાં આવે. સંકેતે આ પત્ર ધારાસભ્ય લલિત વસાવાને પણ આપ્યો હતો. જોકે, ગત અઠવાડિયામાં કોંગ્રેસે દરેક જિલ્લાઓમાં મોંઘવારીને લઈને પ્રચંડ વિરોધ કર્યો હતો. ખાસ કરીને પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થવાને કારણે લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે.

બીજી બાજું જીવન જરૂરી દરેક વસ્તુઓના ભાવ વધારાને કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. ખાસ કરીને નાના જિલ્લાઓમાં રહેતા લોકો માટે વિકટ સ્થિતિ પેદા થઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સાથે ગેસના તેમજ સિંગતેલના ભાવ વધારાથી હજારો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જ્યારે મધ્યમવર્ગની મર્યાદિત અને નક્કી કરેલા સમય પછી આવતી આવકને કારણે વ્યવસ્થા કરવી કઠિન છે. જ્યારે પરિવહન મોંઘુ થતા અન્ય ચીજવસ્તુઓના ભાવને પણ માઠી અસર પહોંચી છે.

