સતત અને સખત કોઈ કારણોસર ચર્ચામાં રહેતી અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ ફરી વિવાદમાં છે. કોવિડના સમયમાં એવી ફરિયાદ આવી હતી કે, જે વાલીઓએ ફી ભરી ન હતી એમના સંતાનોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દીધું હતું. સ્કૂલના વોટ્સએપ ગ્રૂપમાંથી પણ એ વિદ્યાર્થીઓને રીમૂવ કરી દીધા હતા. સ્કૂલની આવી દાદાગીરી સામે વાલીઓ રોષે ભરાયા હતા. હવે ધો.1થી 5ના વિદ્યાર્થીઓને બે દિવસની અચાનક રજા આપી દેવામાં આવી હતી.
જ્યારે ધો.6થી 11ના વિદ્યાર્થીઓ મંગળવારે રજા આપી દેવાઈ હતી. જ્યારે ધો.12ના વિદ્યાર્થીઓને કહેવાયું હતું કે, તેઓ પોતારી રીતે સ્કૂલે પહોંચી જાય. જેના કારણે હવે મામલો ગરમાયો છે. સ્કૂલ સંચાલકોએ નિયમની વિરૂદ્ધ જઈને વિદ્યાર્થીઓને મનસ્વી રીતે નિર્ણય કરીને બે દિવસની રજા આપી દીધી છે. ઉદગમ સ્કૂલમાં ટ્રાંસપોર્ટેશનની મુશ્કેલીઓ ઊભી થતા હવે ઓફલાઈન ચાલતા ક્લાસ બંધ કરી દીધા છે. સોમવારે ટ્રાંસપોર્ટેશન અંગે થયેલી મુશ્કેલીઓ બાદ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્તીઓને રજા આપી દીધી હતી. નિયમ અનુસાર કોઈ પણ સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી વગર ચાલું દિવસોમાં સ્કૂલમાં રજા જાહેર ન કરી શકે. તેમ છતા નિયમોને નેવે મૂકી સ્કૂલે આ પ્રકારનો નિર્ણય લીધો હતો.

આ ઘટના અંગે અમદાવાદ શહેરના DEOએ કહ્યું કે, આકસ્મિક રજાઓ જાહેર કરવા માટે સ્કૂલે પહેલા મંજૂરી લેવી પડે. પણ આવી કોઈ મંજૂરી સ્કૂલે તરફથી લેવામાં આવી નથી. વારંવાર સ્કૂલની આવી મનમાનીથી ભોગવવાનો વારો વિદ્યાર્થીઓનો આવે છે. તો શિક્ષણ વિભાગ કોઈ પ્રકારના પગલાં આ સ્કૂલની સામે ભરતું નથી. શું આવી સ્કૂલ સામે શિક્ષણ વિભાગને કોઈ મજબુરી નડે છે? અથવા કોઈ એવું દબાણ કામ કરી રહ્યું છે.
ટ્રાંસપોર્ટેશનની મુશ્કેલી અંગે સ્કૂલ તંત્રએ એવો સ્વીકાર કર્યો છે. જેના કારણે સોમવારે વિદ્યાર્થીઓને 40 ડિગ્રીના તડકામાં શેકાવું પડ્યું હતું. વિદ્યાર્થીઓને પડી રહેલી આવી મુશ્કેલી અંગે જ્યારે વાલીઓ સ્કૂલે પહોંચ્યા પણ એ પહેલા જ સ્કૂલે બાઉન્સ ગોઠવી દેવામાં આવ્યા હતા.વાલીઓએ સંચાલક મંડળને મળવા માટેની રજૂઆત કરી હતી. આ બાઉન્સરોએ વાલીઓને સ્કૂલમાં અંદર જતા અટકાવ્યા હતા.

