દિલ્હી અને પંજાબમાં જબરદસ્ત બહુમતી સાથે સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીનો ઉત્સાહ આકાશને સ્પર્શી રહ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના નિશાના પર હવે ભાજપનો ગઢ ગુજરાત છે, જેને જીતવા માટે પાર્ટીએ પોતાની તમામ તાકાત લગાવવાનું શરૂ કરી દીધું છે.
પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે અમદાવાદમાં તિરંગા યાત્રા કાઢી હતી. આ રોડ શોમાં પંજાબના સીએમ અને પાર્ટીના નેતા ભગવંત માન પણ સામેલ થયા હતા. કેજરીવાલે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીને તક આપવા અપીલ કરી હતી. કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું, ‘અમે રાજકારણ કેવી રીતે કરવું તે નથી જાણતા, પરંતુ ભ્રષ્ટાચારને કેવી રીતે દૂર કરવો તે જાણીએ છીએ. અમે દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો, ભગવંત માન પંજાબમાં દસ દિવસમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો. જો ગુજરાતની જનતા પણ AAPને તક આપે તો અહીં પણ દિલ્હી-પંજાબની જેમ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પ્રજાની સેવા કરશે.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે ગુજરાતના અમદાવાદમાં રોડ શો કર્યો હતો. અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે હું ગુજરાતમાં ભાજપ કે કોંગ્રેસને હરાવવા નથી આવ્યો, પણ ગુજરાતીઓને જીતવા આવ્યો છું.

પાર્ટીના નેતાઓને આશા છે કે જ્યારે આવું થશે ત્યારે અરવિંદ કેજરીવાલ સીધા પીએમ મોદીની હરીફાઈમાં આવી જશે અને સંસદીય ચૂંટણીમાં પણ આ બંને વચ્ચે મુકાબલો માનવામાં આવશે. અરવિંદ કેજરીવાલ આ સંજોગોને સારી રીતે સમજી ચૂક્યા છે. રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં AAPને મળેલા જનસમર્થનથી તેમની આશાઓ પણ વધી છે. તેમને લાગે છે કે થોડી મહેનત કરવામાં આવે તો દિલ્હી-પંજાબની જેમ ગુજરાતમાં પણ મોટું પરિવર્તન આવી શકે છે.તેથી જ તેમણે તેમના સાથીદાર અને પંજાબના સીએમ ભગવંત માન સાથે મળીને ગુજરાતનું મંથન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ ચૂંટણી સુધી ગુજરાતની મુલાકાત લેવાનું ચાલુ રાખશે અને પાર્ટીના નેતાઓ રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા માટે સતત ફરજ પર રહેશે. સ્થિતિથી વાકેફ ભાજપ પણ પોતાના સંગઠનમાં સુધારો કરીને AAPનો મુકાબલો કરવાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે.

