છેલ્લા દોઢેક મહિનાથી નરેશ પટેલ રાજકારણ માં આવી રહ્યા છે એવી વાતો ચાલી રહી છે. એવામાં હવે કદાવરનેતા લલિત વસોયા એ નરેશ પટેલને લઇને નિવેદન આપ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે જેમાં શહેર-જિલ્લાના 19 જેટલા નવા ચહેરા લેવા એલાન કર્યું છે. 19 શહેર જિલ્લાના પ્રમુખને બદલવા માટે તખ્તો ઘડાઈ રહ્યો છે.

રાજકોટમાં શહેર પ્રમુખ તરીકે આર્કિટેક્ટ પ્રદીપ ત્રિવેદીની પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જિલ્લામાં સતત ચાર ટર્મથી ચૂંટાતા વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાની નિયુક્તિ કરવામાં આવી છે. રાજકોટમાં અર્જુન ખાટરિયાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જ્યાં ધારાસભ્ય લલિત વસોયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે એવું કહ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો હું ખભે બેસાડીને ચૂંટણી લડવા તૈયાર છું. નરેશ પટેલ માટે હું મારી સીટ ખાલી કરી દઈશ. સાથે મળીને લોકોની મુશ્કેલીનો નીવેડો લાવીશું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવવા માટે તૈયાર છે. આ અંગે તેમણે સત્તાવાર તારીખ પણ આપી દીધી છે. તા.10થી 15 એપ્રિલ સુધીમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. એમના આગમનથી કોંગ્રેસને ઘણો મોટો ફાયદો થવાનો છે. આ પ્રોગ્રામમાં ધારાસભ્ય લલિત કગથરા અને કોંગ્રેસ અગ્રણી ભીખુ વારોતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના સિનિયર નેતાઓ સક્રિય થઈ રહ્યા છે. ખાસ કરીને સિનિયર નેતાએ મેદાને આવ્યા છે. રાજકોટ કોંગ્રેસના માળખામાં પટેલને શહેર-જિલ્લાકક્ષાએ હોદ્દાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ ન મળવાની લાગણી સામે આવી છે. ચાર દિવસ પહેલા ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગાએ કહ્યું હતું કે, પાટીદાર સંગઠનને કોંગ્રેસમાં એક પદ મળવું જોઈએ.

અમારી આ માગ પૂરી નહીં થાય તો બહિષ્કાર કરવાની ચિમકી આપી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અર્જુન ખાટરિયાનો પદગ્રહણ સમારોહ યોજાતાં કોંગ્રેસમાં પાટીદારો સભ્યોમાં વિરોધના સૂર જોવા મળ્યા છે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ મોંઘવારી મુદ્દે જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. જીવન જરૂરી મોટાભાગની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે લોકોને આર્થિક ફટકો પડ્યો છે. આ અંગે રાજકોટના ત્રિકોણબાગમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

