કાલાવડ નજીક મતવા ગામ નજીક બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. તમામ મૃતકો જામનગરના હોવાનું જણાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તેની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

જામનગરથી કાલાવડ તરફ જતા રસ્તા પર મતવા ગામ નજીક ટેન્કર ચાલકે બાઈકમાં જઈ રહેલા પરિવારના ત્રણ સભ્યોને અડફેટે લીધા હતા. જેથી અકસ્માત થયો હતો. જેમાં પરિવારના ત્રણેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકો જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારના સુરેશભાઈ, તેમના પત્ની સરોજબેન અને તેમનો પુત્ર સાવન હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને કાલાવડની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાને પગલે જામનગર અને કાલાવડ હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. જોકે, બાદમાં પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

