અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી વહેતી અને કચરો ઠાલવવાનુ તથા ગંદા પાણી છોડવાનુ સ્થળ ગણાતી 142 વર્ષ જૂની ખારીકટ કેનાલ વિકાસ ઝંખી રહી છે. ત્રણ ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં ખારીકટ કેનાલનો પ્રશ્ન યથાવત છે. જેમાં પ્રજા સતત પીડાતી રહી છે. આમ છતાં હજુ સુધી કોઈપણ પ્રકારનો વિકાસ થયો નથી. આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અમદાવાદ શહેરમાં વિકાસના નામે પ્રજા પાસેથી મત માંગવામાં આવે છે. પણ નક્કર કામગીરીમાં સરકાર પાછળ રહી ગઈ છે. એવું ઘાટ છે.

આ વાતનું ઉત્તમ ઉદાહરણ એટલે અમદાવાદની ખારીકટ કેનાલ. આ ખારીકટ કેનાલ એક મંત્રી સહિત પાંચ ધારાસભ્યના મત વિસ્તારમાંથી નીકળે છે. જેમાં પ્રદીપસિંહ જાડેજા, વલ્લભ કાકડિયા, બલરામ થાવાણી, જગદીશ પટેલ અને જગદીશ પંચાલનો સમાવેશ થાય છે. 20 વર્ષથી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એવા નરોડાથી વટવા સુધી અને ત્યાંથી છેક વિઝોલ સુધી નીકળતી 18 કિમીની કેનાલ સતત દુર્ગંધ અને ગંદકીથી ખદબદી રહી છે. આ કેનાલને સંપૂર્ણ રીતે દુર્ગંધમુક્ત કરવા અને સાફસફાઈ કરવા માટેના વાયદા અનેક નેતાઓ કરી ચૂક્યા છે. જેમાં કરોડો રૂપિયાની જાહેરાત કરવા માટે એલાન કરાતું હોય છે. પણ કામ કંઈ થતા નથી. એટલું તો ઠીક એક કિમી સુધીનું પણ કોઈ સફાઈકામ થયું નથી. આ વર્ષે ભાજપના સત્તાધીશોએ રૂપિયા 900 કરોડની જોગવાઇ કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારથી આ કેનાલને રીવરફ્રન્ટની માફક વિકાસ કરવાની માત્ર વાતો થઈ આવી છે. સ્થાનિકો ત્યાં સુઘી કહે છે કે, વર્ષ 2002થી આ વિસ્તારમાં રહેતા શાલીગ્રામ કોળી કહે છે કે, ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત ગંદુ પાણી અને પ્રદૂષણ માટેની કેનાલ છે. આ પ્રશ્ન કંઈ આજકાલનો નથી. 20 વર્ષથી આ કેનાલની સ્થિતિ ક્યાંકથી બદલી નથી. મંત્રીઓ સફાઈ કરવા માટેની જાહેરાત કરી જાય છે. ત્રણ મહિના સુધી કામગીરી થાય અને પછી સ્થિતિ જૈસે થે.

ખારીકટ કેનાલ નજીક રહેતા પ્રહલાદભાઈ કહે છે કે, આ કેનાલમાં વર્ષોથી કેમિકલવાળું પાણી નાંખવામાં આવે છે. જેના કારણે મચ્છર થાય છે. ચોમાસામાં ગટર ઊભરાય છે. જેના કારણે સતત વાસ આવે છે. AMC દ્વારા ખારીકટ કેનાલના વિકાસ માટે કરોડો રૂપિયાનું એલાન કરવામાં આવે છે. પણ કામગીરી કોઈ કરતું નથી. ખરેખર હવે કેનાલનો વિકાસ થશે કે કેમ એ સવાલ અમે તંત્રને કરીએ છીએ. એટલું જ નહીં કેનાલ પાસે નાની એવી પાળી તૈયાર કરવમાં આવી છે. પણ કોઈ છોકરા કે વ્યક્તિ ત્યાં જાય તો પડી જાય એવી હાલત છે. નરોડાના કોર્પોરેટર વિપુલ પટેલ કહે છે કે, તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરે સાથે મળીને સરકારના મંત્રી જગદીશ પંચાલને વાત કરી હતી. અગાઉની સરકારમાં પણ વાત કરી હતી પણ કોઈ રજૂઆતને હજુ સુધી ધ્યાને લેવાઈ નથી. 18 કિમીમાં રહેતી પ્રજાને આ કેનાલની સાફસફાઈ અને વિકાસથી ઘણો ફાયદો થાય છે. સૌથી પહેલા તો આ વિસ્તારમાં મચ્છરથી મુક્તિ મળે એમ છે. વટવા વિધાનસભામાંથી પ્રદીપસિંહ જાડેજા, ઠક્કરબાપાનગર વિધાનસભામાંથી વલ્લભભાઈ કાકડીયા અને નરોડા વિધાનસભામાંથી ડો.નિર્મલાબેન વાધવાણી મંત્રી પદે હતા ત્યારે આ કેનાલની વાત કરી હતી. પણ તેઓ પણ કોઈ નીવેડો લાવી શક્યા નથી. હવે પ્રશ્ન એ છે કે, ખરેખર કોર્પોરેશને કરોડો રૂપિયા ફાળવ્યા છે કે, માત્ર વાતો?

વર્ષ 2010માં મુખ્યમંત્રી તરીકે રહેલા નરેન્દ્ર મોદીની સૂચનાથી સિંચાઇ વિભાગે કોર્પોરેશને તથા GPCBના સહયોગથી ખારીકટ કેનાલનો વિકાસ કરવા માટે એક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ખારીકટ નહેરને રૂ.65 કરોડના ખર્ચે રીવરફ્રન્ટની જેમ તૈયાર કરી ફરવા માટેનું સ્થળ તૈયાર કરવા માટે વાત નક્કી થઈ હતી. જો કે રિવરફ્રન્ટ જેવો વિકાસ તો દૂર તંત્ર ગંદકી પણ દૂર થઈ નથી. વર્ષ 2018માં કેનાલ ઉપર રૂ.451 કરોડના ખર્ચે 6 લેન રસ્તો તૈયાર કરવા નિર્ણય કર્યો હતો. પણ એનું કંઈ કામ થયું નથી.

