રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જ્યાં પણ સરકારી જમીન પર બાણ થયેલું હશે તો આવા દબાણની તાત્કાલિક માપણી કરીને આવા દબાણ દૂર કરી દેવામાં આવશે. આ માટેની ખાસ સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે. વિઘાનસભામાં ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ઝીંગાના ફાર્મ અંગે જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં સરકારી જમીન પર કેટલાક ગેરકાયદેસર દબાણ કરી ઝીંગા ફાર્મ ઊભા કર્યા છે.
જે પૈકી 43072 ચોરસ મીટર જમીન પર 5 તળાવ દૂર કરવાના બાકી હતા. જે દૂર કરાયા છે. ઝીંગા ફાર્મ માટે સાત સહકારી મંડળી તેમજ 46 વ્યક્તિગત કિસ્સાઓ મળઈને કુલ 53 કિસ્સાઓમાં ઝીંગા માટેની ખાસ જમીન ફાળવી દેવામાં આવી છે. આ ફાર્મ માટે જમીન ફાળવી દેવામાં આવી છે. જે તે જગ્યાએ ઝીંગા ફાર્મના તૈયાર કરવા માટે પ્રથમ તબક્કે 20 વર્ષ માટે જમીન ભાડાપટ્ટે અપાય છે ત્યારબાદ પુનઃ જમીન ફાળવણી કરવાની થાય તો જે તે કલેકટર જમીન ફાળવી, ચોક્કસ ખાતરી કર્યા બાદ બીજા 10 વર્ષ સુધી લંબાવી શકાય છે અને ત્યારબાદ પણ લંબાવવા માંગણી આવે તો રાજ્યકક્ષાએથી મંજૂરી મેળવવાની હોય છે. ત્યાર બાદ જમીન ફાળવવામાં આવે છે. બીજી બાજુ વિપક્ષના નેતા સુખરામ રાઠવા એ એવો આરોપ મૂક્યો છે કે,સરકાર શૌચાલય તો બાંધી આપે છે પણ એને સાફ કરવા માટે એક વખતના વપરાશ પછી 10 લિટર પાણી જોઈએ છે. જ્યાં પાણી પહોંચતું નથી ત્યાં શૌચાલયનો ઉપયોગ પણ થતો નથી. ખરેખર તો સરકાર પહેલા પાણી પહોંચાડવું જોઈએ. આ મુદ્દાના જવાબમાં ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કહ્યું કે, નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

જ્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સોમવારે વન વિભાગની માંગણીઓ પર બોલતા એવી ટિપ્પણી કરી કે, અમારા વિસ્તારમાં ગાંડા બાવળ અને ભાજપ વચ્ચે ખૂબ જ સામ્યતા છે. ભાજપની માફક ગાંડો બાવળ પણ વધ્યા જ કરે છે. પણ તે જમીનની ફળદ્રૂપતા બગાડે છે. જેને કાપવા માટે કોઈ વન વિભાગ આવતું નથી. આ સમયે ભાજપના એક ધારાસભ્યએ એવું કહ્યું કે, પછી ભાજપમાં આવવાનું છે ને એટલે બોલવામાં ભાન રાખો. જોકે, કોંગ્રેસમાંથી કેટલીક વિકેટ ખરવાના એંઘાણ જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી.

