હવે ગામના તલાટીઓએ ગામની ભજન મંડળીની યાદી તૈયાર કરીને મોકલવાની રહેશે. ગુજરાતના તમામ તલાટીઓને યાદી તૈયાર કરવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લા વિકાસ અધિકારી તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે. ગામની ભજનમંડળીની વિગત એકઠી કરીને રીપોર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ માટે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ સૂચના આપી દીધી છે. એક ચોક્કસ યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
રાજ્યના તલાટીઓને ગામેગામની ભજનમંડળીની યાદી તૈયાર કરવાની રહેશે. આ કામગીરી સોંપવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, હવે તો સરકારની નીતિ પર સવાલ ઊભા થવા લાગ્યા છે. રાજ્ય સરકાર પર વાર કરતા ઉમેર્યું કે, તલાટીઓને પંચાયત અને મહેસુલની કામગીરી કરવાની હોય છે. ભાજપ સરકાર આ વ્યવસ્થાને ખોરવવા માટેનું કામ કરી રહી છે. આ પહેલા શિક્ષકોને જુદા જુદા કામ સોંપીને શિક્ષણની વ્યવસ્થા ખોરવી નાંખી હતી. હાલ ત્રણથી પાંચ ગામ વચ્ચે એક તલાટી છે. મૂળ કામગીરી કરવાના બદલે ભજન મંડળીઓની યાદી તૈયાર કરવા કામગીરી સોંપી દેવામાં આવી છે. આ કારણે ગામના લોકોને ભજન કરવા પડે એવી સ્થિતિ છે.

ગેરબંધારણીય રીતે ગામના મંત્રીએ આ પરિપત્ર તૈયાર કર્યો છે. ગુજરાત કોંગ્રેસ એ માંગ કરે છે કે, તલાટીઓને એમના કાર્યક્ષેત્ર સિવાયની કોઈ કામગીરીથી મુક્ત કરી દેવામાં આવે. પણ બીજી તરફ દિલ્હીમાં ગુજરાત રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ગાંધીનગરમાં સચિવાલય સ્થિત સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપા.ના સેક્રેટરી વિજય નહેરા એમ બંને અધિકારીઓને ડેપ્યુટેશન પર મોકલવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. GADના કહેવા અનુસાર એમની દરખાસ્ત દિલ્હી સુધી પહોંચી ગઈ છે.
દિલ્હી અને ખાસ કરીને PMO ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સુધી કોઈના પણ ડેપ્યુટેશનને મંજૂરી આપવાના મૂડમાં નથી. એટલે પ્રક્રિયા અનુસાર ફાઈલ પહોંચી ગઈ છે તો પણ વિધાનસભાની ચૂંટણી બાદ એમને દિલ્હી જવા દેવાશે એવું અત્યારે લાગી રહ્યું છે. દિલ્હીમાં રેસિડેન્ટ કમિશનર એ ગુજરાત સરકારનું જ પોસ્ટિંગ છે. પણ ચર્ચા એ વાતની છે કે, મંત્રી આવી ભજનમંડળીની યાદી તૈયાર કરાવીને કરાવવા શું માંગે છે.

