અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રોડ કપાતનો મુદ્દો દિવસે દિવસે ગરમી પકડી રહ્યો છે. આ વિસ્તારમાં વર્ષોથી ભાજપના મતદારો હવે ખુદ ભાજપના પદાધિકારીથી નારાજ થઈ રહ્યા છે. એટલું જ નહીં વિકાસના નામે ધંધા રોજગારનો વિનાશ કરી રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે. અમદાવાદમાં નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 80 ફૂટના રોડને 100 ફૂટનો બનાવવા માટે રસ્તા વચ્ચે આવતા કપાતને રોકાવા માટે સ્થાનિકો, વેપારીઓ તંત્ર સામે બાંયો ચડાવીને ઊભા થયા છે.
લડત ચલાવવા સુધી મેદાને ઊતરેલા લોકોએ મેયર ઓફિસમાં કોંગ્રેસની સાથે મળીને રજૂઆત કરી હતી. તેમ છતાં ભાજપના સત્તાધીશોએ મંજૂરી મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. એટલે હવે સ્થાનિકોએ આ વિષય મામલે પેમ્ફલેટ વિતરણ ચાલું કર્યું છે. જેમાં દરેક સ્થાનિકને જાગૃત કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન તંત્ર અને સ્થાનિક નેતાઓ બિલ્ડરોની સાથે મળી એમને લાભ ખટાવવા માટે કપાત લાવતા હોવાનો મોટો આક્ષેપ થયો છે. રહેવાસીઓએ નારણપુરા લોક હિતરક્ષક સમિતિના નામથી પત્રિકા બહાર પાડી રહ્યા છે. જેમાં લોકોને રોડ કપાત બિલ્ડરોને લાભ ખટાવવા આવી પ્રવૃતિઓ થઈ રહી હોવાનું સામે આવ્યું છે. એવું પણ લખ્યું છે કે, આજે અમે ભોગવીએ છીએ કાલે તમે ભોગવશો. કપાતના વિરોધ પાછળનું કારણ પણ લખ્યું છે.

પોતાની મિલકતો બચાવવા સ્થાનિકો આંદોલન પર જવા સુધી તૈયાર થઈ ગયા છે. અમદાવાદમાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા અને ભાજપને મત આપતા સ્થાનિકો ખુદ હવે ભાજપ સત્તાની સામે થયા છે. પોતાની મિલકતો કપાતમાં જતી અટકાવવા માટે આંદોલન પર ઊતર્યા છે. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધી છેલ્લા 60 વર્ષથી રહેતા રહીશો પોતાની મિલકતોને કપાતથી વિપક્ષનો સહારો પણ લઈ રહ્યા છે. કોંગ્રેસ સાથે મળીને મેયર કિરિટ પરમારને કાયદેસરની રજૂઆત કરી હતી. કોર્પોરેટર અને ડે.મેયર ગીતા પટેલે પણ આ મુદ્દાને લઈ નીવેડો લાવવા રસ્તો શોધીશું એવું કહી મુદ્દાને થીગડું મારવા પ્રયાસ કર્યો. પણ આજદિન સુધી હજી કોઇ નીવેડો ન આવતા સ્થાનિક રહીશો નારણપુરા હિત લોક રક્ષક સમિતિ બનાવી એક પ્રકારનું આંદોલન કરી રહ્યા છે. નવા રસ્તા તૈયાર થવાને કારણે 80થી વધારે દુકાનો કપાતમાં જાય છે. મોડલ રોડ અને ટ્રાફિક એક પ્રકારનું તંત્રનું બહાનું છે. એવું કોર્પોરેશન તંત્રને સ્થાનિક નેતાઓ બતાવી રહ્યા છે. ખરેખર તો બિલ્ડરોને FSIનો લાભ ખટાવવા માટે આ માળખું ઊભું કરવામાં આવ્યું છે.

જેમાં 30 માળની બિલ્ડીંગ તૈયાર કરાશે. 50થી વધારે બંગલાઓ નવા રોડ તૈયાર કરવા માટેની કપાતમાં જાય છે. લોકોના ધંધા 80થી વધારે દુકાનોને કપાતમાં જતી હોવાથી બંધ છે. કેટલાક લોકોના બંગલાનો મોટો ભાગ કપાઈ જતો હોવાથી લોકોમાં ભારે રોષ છે. ભાજપના જ અનેક નેતાઓ રોડ ઉપરથી વર્ષોથી પસાર થયા છે. હવે એમને આ રોડ કપાસમાં શાનો રસ છે એ સ્થાનિકોને સમજાતું નથી. વિસ્તાના લોકોનું હિત જાળવવા માટે આ કમિટી તૈયાર કરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ મુદ્દાનો નીવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

