અમદાવાદ શહેરમાં જેનો પ્રોપર્ટી ટેકસ બાકી હોય એની સંપત્તિ હવે સીલ મારી દેવા સુધીની ઝુંબેશ તંત્રએ શરૂ કરી દીધી છે. મિલકત સર્વે અને સીલ કરવાની ઝુંબેશ તા.1 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનના ટેક્સ વિભાગે સિલિંગ ઝુબેશ અંતર્ગત સોમવારે કુલ 210 મિલકત સીલ મારી દીધી હતી. આ અભિયાન અંતર્ગત કુલ 16000 જેટલી પ્રોપર્ટી સીલ કરી દીધી છે. રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, અમદાવાદ પશ્ચિમમાંથી મોટાભાગના પ્રોપર્ટી માલિક એવા છે જેને કોઈ પ્રકારનો કરવેરો ભર્યો નથી.
અમદાવાદ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે મિલકત સીલ કરી દેવામાં આવી છે. પ્રોપર્ટી ટેક્સમાં તા.1 જાન્યુઆરીથી 31 માર્ચ 2022 સુધી એમ ત્રણ મહિના માટે કોર્પોરેશને વ્યાજ માફી સ્કિમ લાગુ કરી દીધી છે. જેથી પ્રોપર્ટી માલિકોને થોડી રાહત મળી રહે. તેમ છતાં ટેક્સપેયર્સ કરવેરો ભરતા નથી. જેના કારણે કોર્પોરેશન તરફથી સીલ મારવાથી લઈને પ્રોપર્ટીની હરાજી કરી દેવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજ દિવસ સુધીમાં 1591 જેટલી મિલકતોને સિલ મારીને, 11658 મિલકતોને નોટિસ અપાઈ છે. જે લોકોનો કરવેરો બાકી છે એમને આ પહેલા નોટિસ આપવા છતાં પણ ટેક્સ ભર્યો નથી. હવે જો તેઓ કોઈ ટેક્સ નહીં ભરે તો પાણી તથા ગટર લાઈન કાપવા સુધીની કાર્યવાહી થશે. એવું કોર્પોરેશને જણાવ્યું છે. તેમજ મિલકતો ટાંચમાં લઈ હરાજી સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

સીલ મારવામાં આવેલી પ્રોપ્રટીમાં સહજાનંદ કોમ્પ્લેક્સ નિકોલ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ નિકોલ, ન્યુ ઉદય નિકોલ, મુક્તિધામ એસ્ટેટ નિકોલ, શિવમ એસ્ટેટ ઓઢવ, ગણેશ પાર્ક ઓઢવ, શંકર શોપિંગ સેન્ટર ઓઢવ, ગુપ્તા ચેમ્બર્સ ઓઢવ, મંથન વિંઝોલ, શ્રીનાથ સાર્થક ઓઢવ, આદિશ્વર ગોલ્ડ વસ્ત્રાલ, પુષ્પમ ઈન્ડસ્ટ્રી GIDC, અનમોનલ એસ્ટેટ ઓઢવ, સંસ્કાર એસ્ટેટ ઓઢવ, શિખર એવન્યૂ નિકોલનો સમાવેશ થાય છે. ન માત્ર અમદાવાદમાં પણ રાજકોટમા પણ વેરો વસુલવાની કામગીરી ચાલું છે. ગુંદાવાડી સરકારી હોસ્પિટલનો બાકી 1 કરોડનો વેરો વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે ગરેડીયા કુવા રોડ પર 13 મિલકત સીલ કરી દેવામાં આવી છે. દબાણ શાખાએ 15 દિવસમાં 84 રેંકડી અને બિનઉપયોગી 3360 કિલો શાકભાજી અને ફળો જપ્ત કર્યા છે.

