વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી બેઠી થવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે એવામાં સુરેન્દ્રનગરથી માઠા વાવડ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. પ્રહલાદસિંહ પરમાર, વિક્રમસિંહ ઝાલા જેવા પક્ષના નેતાઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. લખતર APMC ચેરમેન હિતેન્દ્ર રાણા, ડાયરેક્ટર કલ્પરાજ રાણા તથા લખતર તાલુકા પંચાયતના બે સભ્યો, સુરસાગર ડેરીના ડાયરેક્ટર ભરતસિંહ ઝાલા હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, એક બાજું ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એવામાં કોંગ્રેસને ફટકો પડતા જિલ્લા સ્તરે ચૂંટણીમાં માઠી થવાના એંધાણ છે. પૂર્વ ધારાસભ્ય જુવાનસિંહ પરમારના દીકરા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. કુલ મળીને 600 જેટલા સભ્યોએ કેસરિયો ધારણ કરી લીધો છે. જેમાં મૂળી, વઢવાણ તથા લખતરના આગેવાનો પણ જોડાઈ ગયા છે. આ માટે ખાસ ગાંધીનગરમાં આવેલા કમલમમાં એક કાર્યક્રમ પણ યોજાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ આગેવાન તથા ડિસ્ટ્રીક્ટ બેંકના પૂર્વ ચેરમેન તથા એમના સમર્થકો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. આમ સુરેન્દ્રનગરમાં રાજકીય ભૂકંપ આવ્યો હોય એવી સ્થિતિ છે. દર વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણમાં પક્ષપલટાની મૌસમ ચાલતી જ હોય છે. જો કે આ વખતે કોંગ્રેસને ઘણા ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી અગાઉ જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઇ ગયા છે તો દિનેશ શર્માએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે.
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કોંગ્રેસના આગેવાનો સહિત 200થી વધારે લોકો કમલમમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી કરી હતી. દિનેશ શર્માએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આ સિવાય મહેસાણામાંથી પણ અનેક કોંગ્રેસ કાર્યકર ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યારે હવે સુરેન્દ્રનગરમાંથી પણ કોંગ્રેસને ઝટકો મળ્યો છે. કોંગ્રેસને અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં મજબુત માનવામાં આવતી. ખાસ કરીને જિલ્લા પંચાયત અને સહકારી ક્ષેત્રે. પણ આ વખતે કોંગ્રેસ દિવસે દિવસે નબળી પડી રહી છે. બીજી બાજું ભાજપ પણ ટૂંક જ સમયમાં પોતાની પ્રચાર પોલીસી જાહેર કરશે. આ વખતે મોટા અને જાણીતા નેતાઓની ટીમ પ્રચાર હેતું ઊતારવાનો ભાજપનો પ્લાન છે. એવું રાજકીય સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેની શરૂઆત આ વખતે સૌરાષ્ટ્રમાંથી થવાની છે. જોકે, જે તે જિલ્લાઓમાં બેઠકનો ધમધમાટ તો શરૂ થઈ ચૂક્યો છે.