મોરબીમાં તારીખ- 10/07/2024 ને મંગળવારે નવયુગ વિદ્યાલય તથા તા.- 11/07/2024 ને બુધવારે નિર્મલ વિદ્યાલય ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ જાગૃતિ માટે વનસ્પતિ પરિચય તથા પર્યાવરણ અંગેનો કાર્યક્રમ રાખેલ છે. જેમા મોરબીના લેખક, પ્રકૃતિપ્રેમી તથા વનસ્પતિ નિષ્ણાંત એવા પ્રાણજીવનભાઇ કાલરિયા માર્ગદર્શન આપશે. તથા સ્કૂલના 150 જેટલા વિદ્યાર્થીઓને પાંચ પ્રકારના દેશી શાકભાજીના બીજનું ફ્રી વિતરણ કરાશે.
મોરબી જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને દેશી શાકભાજીના બીજનું ફ્રી વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરેલ છે. આ માટે હાલ આગામી અઠવાડિયામાં અલગ અલગ ચાર દાતાઓ તરફથી ચાર સ્કૂલોમાં આયોજન કરેલ છે. મોરબીમાં નવયુગ ઉપરાંત નિર્મલ વિદ્યાલય તથા સાર્થક વિદ્યાલય ખાતે પણ આયોજન કરેલ છે.
આ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રકૃતિની નજીક લાવવાનો છે. વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા અને ઉછેર કરતા શીખશે. ઉપરાંત એ કુટુંબને ઝેર મુક્ત ઘરના ઓર્ગેનિક તથા પરંપરાગત શાકભાજી ખાવાનો લ્હાવો મળશે. દરેક વિદ્યાર્થીઓને નીચે મુજબના પાંચ શાકભાજીના બીજ અલગ અલગ પેકેટમાં આપવામા આવશે.
1. કાંટાવાળા રીંગણ
2. ધારવાળા દેશી ટમેટા
3. કારેલા 4.મરચા 5.કંકોળા
શહેરમાં વસતા વિદ્યાર્થીઓ ઘરની અગાસી કે બાલ્કનીમાં કુંડાઓમાં આ શાકભાજી વાવી શકશે. આ યોજના માટે એક સ્કૂલમાં 150 વિદ્યાર્થીઓને શાકભાજી કીટ આપવાનો ખર્ચ અંદાજીત 5000 રૂપિયા છે. જે માટે અમૂક દાતાઓ આગળ આવેલ છે.કોઇ દાતા ઇચ્છે તો મોરબી જિલ્લાની પોતાના એરિયાની કોઇ પણ સ્કૂલ માટે ફંડ આપી કાર્યક્રમ યોજી શકે છે. આયોજક દાતાનું બેનર લગાવાશે. પ્રાણજીવન કાલરિયા વિદ્યાર્થીઓને તમામ માર્ગદર્શન આપશે તથા આયોજકના હસ્તે ફ્રી કીટનું વિતરણ કરાશે. કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક પ્રકૃતિપ્રેમીઓ તથા દાતાઓ 9426232400 નંબર પર મારો સંપર્ક કરી શકે છે. હાલ વરસાદની મોસમ હોવાથી આ માટે ઉત્તમ સમય છે. તો પ્રતિક્રિયા માટે ઝડપ કરશો. જેથી વધુમાં વધુ સ્કૂલોમાં આયોજન થઇ શકે.

