સમયાંતરે સ્વામી નારાયણ સંપ્રદાયમાંથી મસમોટા વિવાદ સામે આવે છે. હવે હરિધામ સોખડા ગાદીના ગજગ્રાહ વચ્ચે ફાગણી પૂનમ ભરવા દૂર દૂરથી લોો આવે છે. પણ ભક્તો માટે ધૂળેટીના દિવસે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં ભાવિકો ગેટ પાસે હાથ જોડીને રડી પડ્યા હતા. સત્તા માટે સંતોની લડાઈમાં ભોગ ભક્તોનો લેવાયો હતો. જેઓ દર્શનથી વંચિત રહી ગયા હતા. જ્યારે બીજી બાજું પ્રેમસ્વરૂપ સ્વામીના ગ્રૂપના લોકોએ બંધ બારણે રંગોત્સવની ઉજવણી કરી હતી.

જોકે, બંધ બારણે કોઈ પ્રભુ ભક્તિના ગીત ગવાયા ન હતા. રંગોત્સવમાં બોલો તારા રારા… વાગતું હતું. જેના કારણે ભાવિકોની લાગણીને ઠેસ પહોંચી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે ભાવિકોમાં રોષની લાગણી છે. હરિધામ મંદિરના સંતોના જણાવ્યા અનુસાર તા.19 માર્ચના રોજ જશુભાઈ સાહેબની ઉપસ્થિતિમાં મંદિરમાં 22 પ્રદેશના પ્રાદેશિક પ્રમુખોની બેઠકનું આયોજન થયું હતું. જેમાં 100 જેટલા ભક્તો-સંતો તેમજ વડીલો જોડાયા હતા. જ્યાં ત્યાગ સ્વામીએ આ બેઠકમાં પ્રાદેશિક સ્તેર સલાહકાર કમિટી તૈયાર કરી હતી. જેમાં કુલ આઠ સભ્યો હતા. જેમાં પ્રેમસ્વરૂપ જૂથને પ્રાધાન્ય અપાયું. જેથી અન્ય ભાવિકોમાં કચવાટ ફેલાયો હતો. આમ કડવાશની શરૂઆત થઈ હતી. વડીલના બદલે યુવાનોને લેવાની અપીલ કરવામાં આવી હતી. જેનો ધરાર છેદ ઉડાવી દેવામાં આવ્યો. બપોરે 4 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી આ બેઠક ચાલી હતી. જેમાં જોડાયેલા હરિભકતોએ ભેગા થઈને કામ કરવા અને સમાધાન કરી લેવા માટે મુદ્દો મૂક્યો હતો. આ કમિટી તૈયાર કરીને પ્રાદેશિક સ્તરે નિર્ણય લેતા પ્રબોધસ્વામી જુથના સંતોની સત્તા પર કાપ મૂકવા તૈયારી કરાી હતી. એવા આક્ષેપ કેટલાક ભાવિકોએ કરેલા છે. જેમાં અમુક સંતોનું પણ સમર્થન છે.

પછી હરિધામ સોખડા તરફથી ભાવિકો માટે દર્શન બંધ કરી દેવામાં આવ્યા. જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામીના ગ્રૂપ તરફથી જે રંગોત્સવની ઉજવણી થઈ એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સંતો પણ એકબીજને રંગ લગાવી રહ્યા છે. જ્યારે પાછળ કોઈ ભજનના બદલે પંજાબી ગીત બોલો તારા રારા…વાગી રહ્યું છે. હરિધામ સોખડા મંદિરનો આ વિવાદ નવો નથી. આ પહેલા પણ સત્તા પર આવવા માટે સંતોની લડાઈના અનેક ચિત્ર સામે આવ્યા છે. તા.20 માર્ચે વડોદરા પાસે આવેલા કરજણ આત્મીય ધામમાં નિર્મળ સ્વામીની ખાસ ઉપસ્થિતિમાં આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠામાં પણ પ્રબોધ સ્વામીની ગણના થઈ ન હતી. એની બાદબાકી કરી દેવાઈ હતી. પ્રેમ સ્વરૂપ સ્વામી અને એના જૂથના સંતોએ કેટલાક ભક્તોને જ બોલાવવામાં આવશે એવું એક ચોક્કસ જૂથે કહેતા મામલો ગરમાયો હતો. જ્યારે હોળીના દિવસે માંજલપુર આત્મીય ધામમાં સમઢિયાળાથી નિર્મળ સ્વામીને બોલાવાયા હતા. જોકે, દરવાજા બંધ કરીને પંજાબી ગીત પર રંગોત્સવ ઉજવાયો એના કારણે ભાવિકોમાં રોષની લાગણી છે.

