વિઘાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ખાસ કરીને સત્તા પર આવવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના અસંતુષ્ટ એવા જી-23 તરીકે ઓળખાતાં નેતાઓની બુધવારે બેઠક યોજાઈ હતી. જેને મળીને આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ગુજરાત ભાજપ તથા કોંગ્રેસમાં લીડરશીપ ક્રાઈસિસ છે. શું કરવાનું છે કે એની કોંગ્રેસને ખબર નથી.
જો અલગ-અલગ પક્ષો સાથે મળીને લડવામાં આવે તો માત્ર બે મહિનામાં ભાજપને સત્તાથી દૂર કરી શકાય. વિધાનસભાની ચૂંટણી બે મહિના પછી આવે તો પણ ભાજપને ગુજરાતની ગાદી ખાલી કરવી પડે એવી સ્થિતિ છે. જોકે, પરોક્ષ રીતે વાઘેલાએ વહેલી ચૂંટણી થવાની છે એવા સંકેત આપી દીધા છે. પણ સ્પષ્ટ રીતે કંઈ કહેવાની પૂર્વમંત્રીએ ના પાડી દીધી છે. જોકે, આના પરથી એ કહી શકાય કે, વાઘેલા આવનારા દિવસોમાં ફરી સક્રિય થઈ શકે છે. શંકરસિંહે જણાવ્યું કે, દરેક પક્ષ તથા સગંઠનોએ પોતાની રીતે ગુજરાતમાં લડવાની જરૂર છે. હું કોંગ્રેસમાં હોઈશ કે નહીં એનાથી કોઈ ફેર પડતો નથી. પણ હું ભાજપ વિધોરી જૂથમાં તો હોઈશ જ. મુશ્કેલી એ છે કે, મની અને મસલ પાવલ બંને ભાજપ છે. તેઓ પોતાના કાર્યકર્તાઓને દોડાવ્યા રાખે છે. પણ કોઈને શાંતિથી બેસવા દેતા નથી. જ્યારે શું કરવું એ કોંગ્રેસમાં કોઈને કંઈ ખબર નથી. જો બે મહિના સુધી સતત અને યોગ્ય રીતે પ્રયત્નો થાય તો ભાજપ ગુજરાતમાંથી બહાર થઈ જાય. અહમદ પટેલ હતા ત્યાં સુધી કોંગ્રેસ ઠીકઠાક ચાલી. પછી પછી અયોગ્ય થઈ ગયું.
પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશની ચૂંટણીની સોંપી દેવામાં આવી. જે મિસફાયર પુરવાર થયું. ગાંધી પરિવારના એક નેતા એમાં વેડફાઈ ગયા. પંજાબમાં રાહુલ ગાંધીએ ચાલું રેસમાં ઘોડા બદલી કાઢ્યા. જેનું પરિણામ કોંગ્રેસની તરફેણમાં ન આવ્યું. તેમણે સ્પષ્ટતા પણ કરી કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ગાંધી પરિવાર માટે મને સન્માન છે, હું કોંગ્રેસનો વિરોધી નથી. જોકે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની નજર ભાજપ પર છે. પણ ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી સાચવી લેવા માટેનો પ્રયાસ શરૂ કરે એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

