રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત ધો. 6થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા આ અંગેની રાજ્ય સરકારે ભલામણ કરી હતી. જેના રાજ્ય સરકાર દ્વારા સ્વિકાર કરીને અમલવારી કરવામાં આવી રહી છે. તેમજ રાજ્યમાં શિક્ષણનીતિમાં ફેરફાર કરવા માટે જઈ રહી છે. હવે ધો. 6થી 12માં ભણતા વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે.

શૈક્ષણિક વર્ષ 2022-23 થી શાળાકીય શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો ઉમેરો કરવામાં આવશે એટલે કે હવે પ્રાથમિક તબક્કે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભગવદગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતોથી અવગત કરાવવામા આવશે. જેથી આવનાર પેઢીમા પણ શાસ્ત્રો અંગેનુ જ્ઞાન આવે, તેને પણ તેમા રસ પડે અને તેનો આવનારી અન્ય નવી પેઢીઓમા પણ યોગ્ય રીતે સંચાર થાય.

ધોરણ 6થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશેનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા સ્વરૂપે આપવામાં આવશે જ્યારે ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશેનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા સ્વરૂપે આવશે. શાળાઓમા પ્રાર્થનાસભા દરમિયાન ગીતાના પાઠ-પઠનના કાર્યક્રમનુ આયોજન કરવામા આવશે.

આ ઉપરાંત શાળાઓમાં ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વકૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ ગોઠવવામાં આવશે. ગીતાનુ જ્ઞાન વધુ સારી રીતે મેળવી શકે અને સમજી શકે તે માટે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે જોડાયેલ પ્રિન્ટેડ, ઓડિયો-વિઝ્યુઅલ વગેરે માહિતી પણ પુરી પાડવામા આવશે. શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો પૈકી એક સિદ્ધાંતમા વિદ્યાર્થીઓ ભારતની બેજોડ અને અનન્ય સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરા વિશે સભાન થાય તેવા પ્રયાસ કરવા પર ભાર મુકવા કહેવામા આવ્યુ છે. આ નિર્ણય બાદ હવે એવુ લાગી રહ્યું છે કે, આવનાર પેઢી પણ ભગવદ ગીતાના જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિથી સમૃદ્ધ રહેશે.

