મોંઘવારીનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યાં છે. રાજકોટ આવેલા ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરમાં ફરી ભાવ વધવાના સંકેત આપી દીધા છે. જેના કારણે ખેડૂતોને હવે ખાતર મોંઘા ભાવે લેવું પડશે.

દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, પહેલા ખાતરમાં ભાવ વધારો કોરોનાને કારણે આવ્યો હતો. હવે ભાવ વધારો લડાઈના કારણે આવ્યો છે. જે ખાતરનો ગઈ જાન્યુઆરીમાં 300 યૂએસ ડોલર ભાવ હતો તે હાલમાં 1200 યૂએસ ડોલર કરતા વધારે છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે કોઈને નહીં પોસાય તેવો ખાતરમાં ભાવ વધારો આંતરરાષ્ટ્રીય લેવલે થઈ ચૂક્યો છે.

જ્યારે 300 યૂએસ ડોલર ભાવ હતો ત્યારે દેશમાં 750 રૂપિયા પર બેગ સબસિડી હતી અને યૂરિયાની બેગ 250 રૂપિયામાં મળતી હતી ત્યાર બાદ તે બેગ જ્યારે સરકારને 4000 રૂપિયામાં પડી ત્યારે 3730 સબસિડી આપે છે ત્યારે ખેડૂતોને તે બેગ 267 રૂપિયામાં પડે છે. તેથી ખેડૂતોએ ખાતરનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ.

