દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ સ્કીમો જાહેર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ દેશમાં સાઈબર ફ્રોડના બનાવોમાં પણ દિન પ્રતિદિન વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં 10 હજાર ગુજરાતી સાઈબર ફ્રોડનો શિકાર બન્યાં છે. તેમજ 28 કરોડથી વધુની રકમ સાઈબર ફ્રોડમાં ગુમાવી ચુક્યાં છે.

લોકસભાના સત્રમાં જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 2018-19માં 1135 અને 2019-20માં 2719 સાયબર ફ્રોડની ઘટના નોંધાઇ હતી. આ બંને નાણાકીય વર્ષમાં ગુજરાતીઓએ સાયબર ફ્રોડમાં રૂપિયા 8.76 કરોડ ગુમાવ્યા હતા. કોરોના કાળમાં ઈન્ટરનેટથી નાણાકીય લેવડ-દેવડના પ્રમાણમાં વધારો થયો હતો અને તેની સાથે જ સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. 2020-21માં સાયયબર ફ્રોડની 4746 ઘટનામાં રૂપિયા 12.37 કરોડ જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધી 2281 ઘટનામાં રૂપિયા 6.95 કરોડ ગુમાવ્યા છે. આ સમયગાળામાં કુલ 10 હજાર 881થી વધુ સાયબર ફ્રોડની ઘટના નોંધાઇ છે.

લોકસભામાં આપવામાં આવેલી વિગતો અનુસાર સમગ્ર દેશમાં આ સમયગાળામાં સાયબર ફ્રોડની કુલ 2.49 લાખ ઘટના નોંધાઇ છે અને તેની સામે રૂપિયા 789.11 કરોડની ઉચાપત થઇ ચૂકી છે. અજ્ઞાત વ્યક્તિને ડેબિટ-ક્રેડિટ કાર્ડ નંબર-પાસવર્ડ, ઓટીપી આપવાને કારણે જ મોટાભાગની સાયબર ફ્રોડની ઘટના નોંધાય છે. અજ્ઞાત વ્યક્તિનો ઓટીપી માટે ફોન આવતા અનેક લોકો તે આપી દે છે અને તેઓ ગણતરીની મિનિટમાં બેંકમાં કરેલી બચત ગુમાવી દે છે.

