સતત બીજા દિવસે ગુજરાતમાંથી સંબંધોની હત્યા કરતો કેસ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાની સવા વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. એ પછી એની લાશ મળી આવી હતી. વડોદરા નજીક આવેલા વાઘોડિયામાં કમલાનગર સોસાયટીમાં રહેતી એક માતા કલ્પના રાંઠવાએ નર્મદા કેનાલમાં પોતાની દીકરીને ફેંકી સંબંધોની હત્યા કરી નાંખી છે. પછી પોતે ફરાર થઈ જતા મામલો વાઘોડિયા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
વાઘોડિયા પોલીસે માતા સામે દીકરીની હત્યાનો કેસ નોંધીને વઘુ તપાસ શરૂ કરી દીધી છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી એક ફરિયાદ અનુસાર જશવંત જેશલભાઈ રાઠવાએ કહ્યું હતું કે, એમના લગ્ન વર્ષ 2019માં ક્વાંટના ખાટીયા ગામમાં રહેતી કલ્પના રાઠવા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવન શરૂ થતા એમને ત્યાં પ્રિતી નામની એક દીકરીનો જન્મ થયો હતો. તા.1 ફેબ્રુઆરીના રોજ દીકરી પ્રિતી બીમાર હોવાથી એને દવાખાને લઈ જવા માટે પત્નીએ કહ્યું. પણ પતિ જશવંતભાઈ પાસે પૈસાની સગવડ ન થઈ શકતા પત્ની તેને લઈને ઘરે આવી ગઈ હતી. જોકે, આ દરમિયાન જશવંતભાઈના ATMમાં ખામી ઊભી થતા પૈસા ઉપાડી શક્યા નહી. પછી પોતાના સંબંધી પાસે માંગ કરતા પૈસાની વ્યવસ્થા થઈ. પણ તેઓ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે જાય ત્યાં પત્ની બાળકીને લઈને જતી રહી. આ દરમિયાન કલ્પના દીકરી પ્રિતીને કોઈને કહ્યા વગર લઈને જતી રહી. જેને શોધવા માટે પતિ સૌથી પહેલા વાઘોડિયા બસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યાં કલ્પના એક પેસેન્જર કારમાં બેઠેલી જોવા મળી હતી.

પતિએ એને ઘરે પાછી ફરવા માટે કહ્યું. એ સમયે પત્ની કલ્પના એ કહ્યું કે, દીકરીને બાડોલી ખાતે દવાખાને લઈ જાય છે. આવું કહીને તે કારમાં રવાના થઈ ગઈ.બીજા દિવસે જશવંતભાઈએ એના પિતાને વાતની જાણ કરી. કલ્પના ન તો ઘરે પહોંચી હતી કે ન તો એના પીયરીમાં પહોંચી હતી. એટલું જ નહીં બાડોલી ખાતે દવાખાને પણ ગઈ ન હતી. તા.4 ફેબ્રુઆરીના રોજ જશવંતભાઈને જાણવા મળ્યું કે, દીકરીની લાશ વાઘોડિયાના સૈડાંલ ગામ નજીકની નર્મદા નદીની કેનાલમાંથી મળી આવી છે. જ્યારે પત્ની ફરાર છે. એની કોઈ ભાળ મળી નથી. વાઘોડિયા પોલીસે કલ્પના સામે દીકરીની હત્યાનો કેસ કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

