રાજકોટના અને સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લીધી એને પાંચ દિવસ થયા છે. તેમ છતાં પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી. આ વિષયને લઈને એના પુત્રએ વ્યથા ઠાલવી છે. પોલીસે આત્મહત્યા માટે મજબૂર કરનાર એક પણ આરોપીની ધરપકડ નથી કરી. એટલે કમિશન કાંડ બાદ ફરી આ કેસમાં પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે.
મહેન્દ્ર ફળદુના પુત્ર પ્રિયાંકને એટલો આઘાત લાગ્યો છે કે, તે કહે છે કે, મારા હિંમત નથી. હજી સુધી તેના આંસુ સુકાયા નથી. મીડિયા સમક્ષ તે ચોધાર આંસુએ રડતા તેમણે જણાવ્યું હતું કે, પાંચમાં દિવસે એકેય આરોપી નથી પકડાયો.કોઇ સાથે હું ફોનમાં વાત કરી શકું એટલી મારામાં હિંમત નથી. પાંચમા દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા અને પરિવારને હુંફ આપી હતી. પ્રિયાંકે કહ્યું હજી સુધી એક પણ આરોપીને પોલીસ પકડી શકી નથી. મારા પપ્પાનું મૃત્યુ થયાનો પાંચમો દિવસ પૂરો થઈ ગયો છે. અમને પહેલાથી જ કહ્યું હતું કે, તેમને રાજકારણીઓનો ખાસ્સો એવો સપોર્ટ છે. આ સરકાર અને પોલીસ બધા ભેગા થઇને આરોપીઓને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરે એટલી મારી માંગણી છે. મારો પરિવાર તેમના પર ભરોસો રાખીને રાહ જુએ છે કે કોઈ પણ રીતે અમને ન્યાય મળે. પોલીસ વિભાગમાંથી અત્યારે એવું જાણ્યું છે કે, એ સાત લોકો અને તેના પરિવારના સભ્યો હાલમાં ફરાર છે. કોઈ હાલમાં મળે એમ નથી. ઘર, ઓફિસ તથા નોન લોકેશન પરથી પણ કંઈ મળ્યું નથી. હું ફોન હાથમાં લઇ કોઇ સાથે વાત કરી શકું હજું મારામાં એટલી હિંમત નથી આવી. મારા શુભેચ્છકો કોણ છે મને તો એટલી પણ ખબર નથી. મને સરકાર અને પોલીસ પર ભરોસો છે કે, તે જે કરશે તે સાચું કરશે.

પરિવારને સાંત્વના આપવા માટે આવેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજકોટ ગઇકાલે આવ્યા બાદ મહેન્દ્રભાઈના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યો. મહેન્દ્રભાઈ ખૂબ સારૂ નામ અને ઈજ્જત સમાજમાં ધરાવતા હતા. દુઃખદ બન્યું છે જે બન્યુ તે. સમાજ માટે ખૂબ સેવાભાવી અને મહેન્દ્રભાઈ હિંમતવાન વ્યક્તિ રહ્યા હતા. કમનસીબે આત્મહત્યા કરવી પડી છે. સાંત્વના પાઠવી છે, હું પણ અપીલ કરું છું કે પરિવારને ન્યાય મળે. એ તમામ જે તે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે પરિવારની અપેક્ષા છે. રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા પણ મહેન્દ્ર ફળદુના ઘરે જઈ પરિવારને સાંત્વના પાઠવી છે. મેરજાએ મીડિયા સમક્ષ કહ્યું કે, કડવા પટેલ સમાજના મહેન્દ્રભાઈ હોનહાર આગેવાન તો હતા જ. પરંતુ તેમના દિલમાં સર્વ સમાજ માટેની એક લાગણી પણ હતી. આ વસ્તુ અમે પ્રસંગોપાત જોતા હતા. જ્યારે મહેન્દ્રભાઈ નથી ત્યારે એમના મિત્ર તરીકે એમના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી છે. હિંમત આપી છે. મહેન્દ્ર ફળદુના પુત્ર પ્રિયાંકની ફરિયાદ લઈને રાજકોટની પોલીસે અમીત જયમલ ચૌહાણ, મનસુખ એમ. સુરેજા, અમદાવાદના ઓઝોનના ડાયરેક્ટર દીપક મણીલાલ પટેલ, અતુલ મહેતા, પ્રણય કાંતિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને જયેશ કાંતિલાલ પટેલ સામે કાયદેસરનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

