રશિયા-યુક્રેન યુદ્ધની અસર આખી દુનિયામાં થઈ રહી છે. આ યુદ્ધના પગલે ભારતીય શેર માર્કેટને માઠી અસર થઈ છે. શેરબજારોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આગ લાગવાના વાવડ મળ્યા બાદ ભારતીય માર્કેટમાં મોટી ઘટ જોવા મળી છે. એશિયન ઈક્વિટી માર્કેટમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. જ્યારે તેલના ભાવમાં વધારો થયો છે. થોડા સમય પહેલા ક્રુડના ભાવમાં પણ વધારો થયો હતો. જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધ્યા હતા.
આ સિવાય ભારતીય ઈક્વિટી ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં વિશ્વમાં રશિયા અને યુક્રેન વચ્ચે વધતા જતા તણાવ અને વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે શુક્રવારે શરૂઆતના સત્રમાં સેન્સેક્સ 850 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો. આ દરમિયાન 30 શેરોવાળા BSE સેન્સેક્સ શરૂઆતના ટ્રેડમાં 851.99 પોઈન્ટના ઘટાડા સાથે 54,250.69 ના સ્તર પર રહ્યો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 185.60 પોઈન્ટ ઘટીને 16,312.45 એ પહોંચ્યો હતો. સેન્સેક્સમાં શરૂઆતના ટ્રેડમાં એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, એક્સિસ બેન્ક, વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર પણ પણ લાલ માર્ક પર હતાં. જેમાં 4.51 ટકા સુધીનો ઘટાડો આવ્યો. આ પહેલાના સત્રમાં 30 શેર ધરાવતો સેન્સેક્સ 366.22 પોઈન્ટ અથવા 0.66 ટકાના ઘટાડા સાથે 55,102.68 પર બંધ થયો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 107.90 પોઈન્ટ અથવા 0.65 ટકા ઘટીને 16,498.05 પર બંધ થયો હતો.

એવામાં વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ફ્યુચર્સ 1.53 ટકા વધીને $112.16 પ્રતિ બેરલ થયું હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 6,644.65 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જોકે, સતત નવમા દિવસે પણ યુદ્ધ જેવી સ્થિતિથી ભારતીય શેર માર્કેટને અસર થઈ છે. જેના કારણે હજારોની સંખ્યામાં રોકાણકારો માથે હાથ દઈને બેસી રહ્યા છે. ખાસ કરીને મોટું રોકાણ કરનારાને લાંબા સમય સુધી રાહ જોવાનો વખત આવ્યો છે. જોકે, આ પહેલા પણ કાડકો બોલી જતા શેર માર્કેટ કકડભૂસ થઈ ગયું હતું. આવી સ્થિતિ રહી તો ભારતમાં પરોક્ષ રીતે આ યુદ્ધની માઠી અસર થશે, કારણ કે ઓટો અને સિરામિક ઉદ્યોગને અસર થઈ ચૂકી છે. હાલમાં માર્કેટ નિષ્ણાંતો કહે છે કે, લાંબા ગાળાના રોકાણથી બચવું જોઈએ.

