રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સતત સાત દિવસ સુધી બોંબમારો અને સામસામું ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. એવામાં ભારતીય મીડિયાને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. રશિયાએ ભારતીય મીડિયાને અપીલ કરી છે કે યુક્રેન સંકટને લઈને મીડિયા કવરેજ સ્પષ્ટ અને તથ્યો પર આધારિત હોવી જોઈએ. જેથી ભારતીયો સુધી સાચી જાણકારી પહોંચે. ભારતમાં રશિયન દૂતાવાસે યુક્રેન સંકટ પર ભારતીય મીડિયા કવરેજને લઈને સતત ટ્વિટ કર્યા હતા.
ભારતની રાજધાની દિલ્હીમાં સ્થિત રશિયન દૂતાવાસે ટ્વિટ કર્યું હતું કે, રશિયાએ યુક્રેન અને યુક્રેનના લોકો સામે યુદ્ધ શરૂ કરી નથી કર્યું. પણ યુક્રેનથી પશ્ચિમી દેશની સેનાને દૂર હટાવવા, નાઝીવાદથી મુક્તિ હેતુ અને ડાન્બસમાં યુક્રેન તરફથી છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે સૈન્ય ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અન્ય એક ટ્વિટ કરીને દૂતાવાસે એવું લખ્યું કે, રશિયાની સેના ખૂબ જ સંયમ રાખી રહી છે. સામાન્ય લોકો અને યુક્રેનના સિટી પર કોઈ હુમલા કરતી નથી. રશિયાની સેના માત્ર સૈન્ય કેમ્પ અને ડિફેન્સના ઢાંચાને ટાર્ગેટ કરી રહી છે. દૂતાવાસે એવં પણ ઉમેર્યું કે રશિયાની સેના યુક્રેનની જેમ પ્રતિબંધિત હથિયારનો કોઈ રીતે ઉપયોગ કરતી નથી. નાગરિકોને પણ પોતાની ઢાલ બનાવતી નથી. રશિયાનું સૈન્ય જે લોકો યુદ્ધમાં શરણે થયા છે એની સાથે પણ માનવતા દાખવી રહી છે. સારો વ્યવહાર કરી રહી છે. આ તથ્યોથી વિપરીત જાણકારી તથા પૂર્વાગ્રહ લોકોમાં ભ્રમ પેદા કરી શકે છે. રશિયાએ એવું પણ કહ્યું કે,યુક્રેનમાં તમામ ન્યુક્લિયર સાઈટ સુરક્ષિત છે. IEAએ પણ આ વાતની ખાતરી કરી દીધી છે. તમામ ન્યુક્લિયર સાઈટ સુરક્ષિત છે. રશિયા તરફથી વાત અને સમજુતીના પ્રયાસ સતત ચાલું છે. રશિયાએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાનો મત વ્યક્ત કરતા વાત કરી હતી. વીટોના કારણે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીની નિંદા કરતા પ્રસ્તાવને પાસ કરી શકાય એમ નથી. રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કરી એને લઈને પણ એક ટ્વિટ કરાયું હતું.
રશિયા યુએન મિશને લખ્યું કે, વીટો અધિકાર એ કોઈ વિશેષાધિકાર નથી. હિત વચ્ચે સંતુલન સાધવાનું એક સાધન છે. જેની આ દુનિયાને ખાસ જરૂર છે. આ સંતુલનને કારણે વૈશ્વિક સ્થિરતા નક્કી થઈ શકે. રશિયાની ઉપેક્ષા અને અપમાન યુએન ચાર્ટરની મૂળ અવધારણાની વિરોધમાં છે. ભારતે હજુ સુધી રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પોતાનું વલણ સંતુલિત રાખ્યું છે. આ ઉપરાંત ભારતે આ પહેલા પણ શાંતિથી વાતચીતથી રસ્તો કાઢવા માટે અપીલ કરી હતી. જ્યારે રશિયાની સૈન્ય કાર્યવાહી અંગે વોટિંગ પ્રસ્તાવ રજૂ થયો ત્યારે ભારત એ બેઠકમાં હાજર રહ્યો ન હતો. ભારત અત્યાર સુધીમાં સુરક્ષા જરૂરિયાત અને પોતાની જૂની દોસ્તીને ધ્યાને લઈને રશિયા તરફી નિવેદન આપવાથી બચી રહ્યો છે. ભારત માટે અત્યારે તટસ્થ વલણ જાળવી રાખવું સરળ નથી. પશ્ચિમી દેશ તરફથી ભારત પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તે કહે છે કે, ભારત આ હુમલા અંગે પોતાનો મત વ્યક્ત કરે.

