મંગળવારે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને ટ્રેન અથવા ઉપલબ્ધ અન્ય કોઈપણ માધ્યમથી તરત જ કિવ છોડવાનું સૂચન કર્યું હતું. ઈન્ડિયન એમ્બેસીએ કહ્યું કે “કિવમાં ભારતીયોને સલાહ… વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને આજે તરત જ કિવ છોડી દે. સલાહ આપવામાં આવે છે,” એમ્બેસી આ ટ્વિટ કર્યું છે. પ્રાપ્ય ટ્રેન અથવા અન્ય કોઈપણ ઉપલબ્ધ માધ્યમ દ્વારા તાત્કાલિક ધોરણે કિવ છોડી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુદ્ધગ્રસ્ત દેશની એરસ્પેસ બંધ થવાને કારણે ભારત રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની તેની સરહદી ચોકીઓ દ્વારા યુદ્ધગ્રસ્ત દેશમાંથી તેના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે. સોમવારે સાંજથી પોલેન્ડની બોર્ડર ખોલી દેવામાં આવી હતી. એ પછી પ્રાથમિકતાને ધોરણે યુવતીઓને પહેલા પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોમવારે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને યુદ્ધગ્રસ્ત દેશના પશ્ચિમ ભાગોમાં મુસાફરી કરવા રાજધાની કિવના રેલવે સ્ટેશન પર પહોંચવાની સલાહ આપી. કિવમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે યુક્રેનની રાજધાનીમાં વીકએન્ડ કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ શહેર છોડવા માટે રેલવે સ્ટેશન જઈ શકે છે.

દૂતાવાસે ટ્વિટ કર્યું, ‘કિવમાં વીકએન્ડ કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને પશ્ચિમ ભાગોમાં પહોંચવા માટે રેલવે સ્ટેશનની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. યુક્રેન રેલવે લોકોને બહાર કાઢવા માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. સોમવારે, વિદેશ મંત્રાલયે કહ્યું કે યુક્રેનમાં મુશ્કેલ અને જટિલ પરિસ્થિતિ હોવા છતાં, તે યુદ્ધગ્રસ્ત દેશમાંથી દરેક નાગરિકને પરત લવાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘ભારત યુક્રેનમાંથી દરેક નાગરિકને પરત લાવશે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા ભારતીયો ગભરાશો નહીં, વિદેશ મંત્રાલયની ટીમનો સંપર્ક કરો અને સીધા સરહદ પર ન આવો.
યુક્રેનમાંથી તેના નાગરિકોને પરત લાવવા માટે સરકાર તમામ હિતધારકોના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વરિષ્ઠ મંત્રીઓને પાંચ દેશોની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે. આ અંતર્ગત કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પોલેન્ડમાં, કિરેન રિજિજુ સ્લોવાકિયામાં, હરદીપ પુરી હંગેરીમાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવામાં સંકલન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે યુક્રેનમાં સમગ્ર સરકારી તંત્ર તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને ઈવેક્યુએશન ઓપરેશનનો ભાગ બનવા માટે કહ્યું છે.

