આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ અને નિખીલ સવાણીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની શુભેચ્છા મુલાકાત માટે રાજકોટ આવ્યાં હતાં. મુલાકાત બાદ આપના નેતાએ નરેશ પટેલને પાર્ટીમાં જોડાવવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. જેના પગલે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આમ આદમી પાર્ટીના યુવાનેતા પ્રવિણ રામ અને નિખીલ સવાણીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત પટેલ બ્રાસમાં એક કલાક સુધી યોજાઈ હતી. મુલાકાત બાદ પ્રવિણ રામે જણાવ્યું હતું કે, અમારી વચ્ચે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ હતી અને સમાજસેવાની વાત થઈ હતી. નરેશ પટેલ અમારી પાર્ટીમાં જોડાઈ તો અમારા માટે ગર્વની વાત કહી શકાય.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, વડીલ કહી શકાય એવા નરેશ પટેલ સાથે આમ તો ઘણીવાર વારંવાર મુલાકાત થતી હોય છે. પરંતુ આજે રાજકોટથી નીકળવાનું થતા તેમના ખબર અંતર પુછવા અને શુભેચ્છા મુલાકાત કરવા માટે આવ્યાં હતાં. આ મુલાકાતમાં કોઈપણ પ્રકારની રાજકીય ચર્ચાઓ થઈ હતી નહીં. હું આમ આદમી પાર્ટીમાં ન હતો ત્યારે પણ મળતો હતો. અમારી પાર્ટીમાં સારા ચહેરાઓ આવશે તો અમને ખુબ ગમશે.

