સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. હત્યારા ફેનિલે ગુનાની કબુલાત નહીં આપતા ચકચાર ફેલાઈ છે. તો આરોપી ફેનિલને લાજપોર જેલમાં લઈ જવાયો છે અને હવે આ કેસ સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

સુરતમાં ગ્રીષ્મા નામની યુવતીની સરાજાહેર હત્યા કરનાર આરોપી ફેનિલને જ્યારે આ ગુનો કબુલ છે તેમ પુછવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી દીધી હતી. આ કેસમાં આરોપી ફેનિલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. તેમજ સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હવે આ કેસ ચલાવવામાં આવશે. તો આરોપીને ફરી લાજપોર જેલમાં લઈ જવાયો છે. પાસોદરામાં જાહેરમાં ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મુળ અને કુલ 2500 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાયું હતું. જેમાં 25 સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યાં છે.

પોલીસ આ કેસમાં પહેલીવાર તમામ 190 સાક્ષીઓના ઘરે જઈને તેમના નિવેદનો લીધા હતા. આ અઠવાડિયાથી જ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ શકે છે અને ચુકાદો પણ ઝડપથી આવે એવી ચર્ચા છે. આ કેસ ઉપર મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા કાયદાકીય પ્રોસેસ ઉપર નજર રાખી રહ્યાં છે.

