પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મહાનગર મંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સંબંધોની હત્યાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. જ્યાં એક મહિલાએ પોતાના દીકરા સાથે મળીને પતિને પતાવી દીધો. બેંક મેનેજર પતિની હત્યા બાદ એની લાશ એપાર્ટમેન્ટના સાતમા ફ્લોર પરથી ફેંકી દીધી હતી. પછી આ ઘટનાને આત્મહત્યામાં ગણાવવા માટે પ્રયાસ કરાયા હતા. પણ મુંબઈ પોલીસની આકરી પૂછપરછ બાદ બંને વ્યક્તિ ભાંગી પડતા સમગ્ર કાંડનો ખુલાસો થયો.
હાલમાં આ બંને વ્યક્તિઓએ ગુનો કબૂલી લીધો છે. પોલીસે એમની સામે કાયદેસરના પગલાં ભર્યા છે. શુક્રવારે સાંજે પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ ઘટના મુંબઈના પશ્ચિમ પરા વીરા દેસાઈ રોડ પરની છે. મૃતકની ઓળખ સંતન કુમાર શેષાદ્રી તરીકે થઈ છે. જેઓ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજરની પોસ્ટ પર હતા. વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. મોર્નિંગ વૉક માટે નીકળેલા લોકોએ રસ્તા પર પડેલો મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. સમગ્ર કેસની તપાસ કરતા અંબોલી પોલીસ સ્ટેશન ઈન્સ્પેક્ટર અબ્દુલ રઉફે જણાવ્યું કે, પતિને માર્યા બાદ મહિલા તથા એના દીકરાએ આત્મહત્યામાં ગણાવવા માટે પતિની લાશને સાતમા ફ્લોર પરથી ફેંકી દીધી. બાલ્કનીમાંથી એનો દેહ ફેંકવામાં આવ્યો. આ કેસમાં પત્ની શીલા અને દીકરા અરવિંદની ધરપકડ કરાઈ છે. આરોપીએ કબૂલાત કરી છે કે, તેઓ પતિથી કંટાળી ગયા હતા. કારણ તે વ્યક્તિ પરિવાર પર કોઈ રીતે ધ્યાન આપતો જ ન હતો. પૂરતો ઘરખર્ચ પણ આપતો ન હતો. નાની નાની વાતમાં તે ઝઘડા કરતો હતો. બે વર્ષ પહેલા જ અરવિંદે એન્જીનીયરિંગ પૂરૂ કર્યું હતું. વધુ અભ્યાસ માટે તે કેનેડા જવાનો હતો. પણ પિતા પૈસા આપવા માટે તૈયાર ન હતા. તેથી ગુરૂવારે સાંજે પિતા સાથે ઝઘડો થયો હતો.

તેથી મા દીકરાએ કાવતરૂ ઘડી સંતન કુમારની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરની છત પર લોહીના ડાઘ અને રૂમનો સામાન પણ અસ્તવ્યસ્ત હતો. આટલું જોઈ પોલીસ થોડી વારમાં જ સમજી ગઈ હતી કે, આ કોઈ આત્મહત્યા નથી. પણ હત્યા છે. પછી મા દીકરાને અલગ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. પત્નીએ કહ્યું કે, આ પહેલા પણ બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બે વર્ષ પહેલા પતિની ચેન્નઈથી મુંબઈ ટ્રાંસફર થઈ હતી. SIDBI ક્વાર્ટરમાં રહેતા એક વ્યક્તિએ કહ્યું કે, સંતન કુમાર સારા વ્યક્તિ હતા. પણ પૈસા બાબતે કંજુસ હતા. કાયમ પૈસા બચાવવાની વાત કરતા. દીકરો અને પત્ની આ જ સ્વભાવથી પરેશાન હતા. અમે એવું ઈચ્છીએ કે, આરોપીઓને એની સજા મળે.

