રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલા લેટર બોમ્બ બાદ સમગ્ર મામલો દિવસે દિવસેને ગરમાઈ રહ્યો છે. તો બીજી તરફ પોલીસના કથિત ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ દ્વારા છેલ્લા ચાર દિવસથી વિવિધ કાર્યક્રમો યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ લોકદરબાર યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પીડીતો આવ્યાં હતાં.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે યોજેલા લોકદરબારમાં અંદાજે 50 જેટલી અરજીઓ આવી હતી. જેમાં સૂચિત દબાણો દુર કરવા, જમીન ઉપર કબ્જા સહિતની ફરિયાદોનો ધોધ વહ્યો હતો. આ અંગે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, પોલીસનો ભ્રષ્ટાચાર ખુદ ભાજપના ધારાસભ્યએ ખુલ્લો પાડ્યો છે. ભાજપ રાજકોટ પોલીસને હાથો બનાવે છે અને પોલીસે પણ ખોટુ કર્યું છે. આવી રીતે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાની ટેવ ભાજપ પક્ષે જ પાડી છે. આ ભ્રષ્ટાચારમાં માત્ર પોલીસ કમિશનર જ નહીં પણ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પણ સામેલ છે. જે અરજી મળી છે તેમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાગીદારીવાળી જમીનમાં ખોટો લેન્ડ ગ્રેબિંગ કરાઈ છે. હવે તમામ અરજદારોને ન્યાય અપાવવા માટે અમે કાર્યવાહી કરશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ કોંગી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનકાળ દરમયના કોઈપણ વાંધાવચકા માટેનો હવાલો નીતિન ભારદ્વાજ અને પોલીસ કમિશનર લેતા હોવાનું પણ નિવેદન આપ્યું હતું. ત્યારે આજે લોક દરબારમાં આવેલી અરજીઓની પૂર્તતા કરીને આગામી દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કરાશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે. તો બીજી તરફ કોંગી નેતાના લોકદરબારને લઈને શહેર કોંગ્રેસનું રાજકારણ પણ ફરી ગરમાયું છે.

