મુંબઈ બે વર્ષના લાંબા સમય બાદ ચાલું માસના અંતથી તમામ નિયંત્રણો મુક્ત થઇ જશે. જો કે માસ્ક ફરજીયાત પહેરવાનો નિયમ યથાવત રહેશે. મુંબઇમાં કોરોનાના કેસ સતત ઘટતા જાય છે અને તા. 7 જાન્યુઆરીના રોજ 20,971 કેસમાંથી ગઇકાલે ફક્ત 447 કેસ નોંધાયા હતા. મહાનગરમાં વયસ્કોનું 100 ટકા વેક્સિનેશન ચાલું અઠવાડિયાના અંતે પુરું થઇ જશે. તેથી મહાનગરના મેયરે મુંબઇને તા.1 માર્ચથી મુંબઈને પૂર્ણ રીતે અનલોક કરવા માટેની જાહેરાત કરી છે. છેલ્લા બે વર્ષમાં પ્રથમ વખત આ સપ્તાહમાં કોઇ ઇમારત કે એરિયાને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો નથી.
અત્યાર સુધીમાં મહાનગરમાં કોરોનાકાળમાં 66 હજાર જેટલી ઇમારતોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાઈ હતી અને સમયાંતરે તેને સીલ કરીને બાદમાં ખોલવામાં આવી હતી. 5 કરોડ જેટલા બાળકોમાંથી 15 થી 17 વર્ષના વયના આ બાળકોમાં 68 ટકા વેક્સિનેશન એટલે કે પ્રથમ ડોઝ આપી દેવાયો છે અને વધુને વધુ ઝડપથી વેક્સિન આપવાની કામગીરી શરુ થઇ છે. તથા કેન્દ્ર સરકારની મંજુરી મળે તો 5 થી 12 વર્ષના બાળકોને વેક્સિન અપાશે અને જેઓને પ્રથમ ડોઝ અપાયો છે તેઓને બીજો ડોઝ આપવાની કામગીરી શરુ થશે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે આજે એક મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં મુંબઈ હવે સંપૂર્ણ રીતે અનલોક થઈ જશે. પરંતુ લોકોએ માસ્ક પહેરવું પડશે અને સામાજિક અંતરનું પાલન કરવું પડશે. અમે હવે અમારું નક્કી કરી લીધું છે કે હવે મુંબઈને લોકડાઉનમાંથી સંપૂર્ણ આઝાદી આપવામાં આવે. લગભગ 23 મહિનાથી કોરોના મહામારીના કારણે પ્રતિબંધોનો સામનો કરી રહેલા મુંબઈકરોને આ મહિને તેમાંથી છૂટકારો મળી શકે છે. મુંબઈમાં તા.21 ડિસેમ્બર, 2021થી શરૂ થયેલા કોરોનાના ત્રીજી વેવની અસર થોડા દિવસોમાં જ ઓછી થવા લાગી. તે પછી 1 ફેબ્રુઆરીથી મુંબઈમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા પરંતુ કેટલાક નિયંત્રણો હજુ પણ લાગુ છે.

50% ક્ષમતા સાથે ખોલાશે
- હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, સિનેમા, થિયેટર, થીમ પાર્ક, સ્વિમિંગ પુલ
- ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક મનોરંજનના કાર્યક્રમો, હોલ અને પંડાલો
લોકોની નિશ્ચિત સંખ્યા સાથે ખોલાશે
- બેન્ક્વેટ હોલમાં યોજાયેલા લગ્નમાં વધુમાં વધુ 200 લોકો
- ખુલ્લા મેદાનમાં ક્ષમતાના 25 ટકા લોકો

