વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ચૂકાદો આવે એવી પૂરી શક્યતાઓ છે. તા.2 ફેબ્રુઆરીના રોજ આ ચૂકાદો આવવાનો હતો પણ સ્પેશ્યિયલ કોર્ટ જજ એ.આર.પટેલ કોરોના વાયરસથી સંક્રમીત થતા ચૂકાયો શક્ય બન્યો ન હતો. સ્પેશ્યલ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પહેલી વખત ચૂકાદા સમયે અન્ય વકીલ, પક્ષકારોને કોર્ટમાં એન્ટ્રી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

કોર્ટ સંકુલમાં 1 DCP, 2 ACP અને 100 પોલીસકર્મી હાજર છે. કેસના વકીલોને જ કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કેસ મામલે વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, બ્લાસ્ટ મામલે કુલ 1100થી વધારે સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. 500થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ થઈ છે. હજુ આઠ આરોપી ફરાર છે. જે પૈકી કેટલાક પાકિસ્તાનમાં હોવાની આશંકા છે. સવારે પોણા અગિયાર વાગતા સરકારી વકીલ કોર્ટમાં પહોંચી ગયા હતા. તા. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદામાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં કુલ 56 લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે 200થી વધારે લોકોને ઈજા થઈ હતી. કુલ 20 FIR અમદાવાદમાં , 15 FIR સુરતમાં નોંધવામાં આવી છે. આ કેસમાં 1,163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે.

કુલ 1237 સાક્ષીઓને સરકાર તરફથી પડતા મૂકાયા છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના કુલ 77 આરોપીઓ દેશના સાત જુદા જુદા રાજ્યની અલગ અલગ જેલમાં છે. સાબરમતી મધ્યસ્થ જેલમાં 49, મધ્ય પ્રદેશના ભોપાલની જેલમાં 10, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં 4, કણાર્ટકના બેંગલુરુની જેલમાં 5, કેરળની જેલમાં 6, જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 1 આરોપી છે.

